બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના જવેસીમાં જંગલી હિંસક પ્રાણીએ ગાયનું મારણ કરતાં ગામમાં ભય ફેલાયો*
*જવેસી-હીરોલા જંગલ વિસ્તારમાં દિપડા જેવા હિંસક પ્રાણીઓ ફરતા હોવાની લોક ચર્ચા*
સુખસર,તા. 6
જંગલ વિસ્તારોનો નાશ થતાં ખોરાક તથા પાણીની શોધમાં જંગલી પશુઓ માનવ વસ્તી તરફ ઘસી આવતા હોવાના અનેક બનાવો સુખસર ફતેપુરા-તાલુકામાં બની રહ્યા છે.તેવી જ રીતે ગતરોજ રાત્રીના જવેસી ગામના એક પશુ પાલકના બાંધેલા પશુઓ પૈકી જંગલી હિંસક પ્રાણીએ એક ગાયનું મારણ કરતાં ગામમાં ભયનો માહોલ પ્રસરી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના જવેસી ગામના નાકા ફળિયા ખાતે રહેતા દિનેશભાઈ હડ્યાભાઇ નિસરતા ખેતીવાડી તથા પશુપાલન કરી ઘરનું ગુજરાન ચલાવે છે.જ્યારે ગત રાત્રિના તેમના ચાર જેટલા પશુ મકાન પાસે પશુ બાંધવા માટે બનાવેલ ઝૂંપડામાં બાંધેલા હતા. અને ઘરના સભ્યો રાત્રિના દસેક વાગ્યે ઊંઘી ગયા હતા.ત્યારે રાત્રિના સમયે જંગલી હિંસક પ્રાણીએ દિનેશભાઈ નિસરતાના બાંધેલ પશુઓ વાળા ઝૂંપડામાં આવી એક ગાયને ગંભીર રીતે ઘાયલ કરી મોત નિપજાવેલ હોવાનું જાણવા મળે છે. આવા બનાવનુ પુનરાવર્તન થાય નહીં તે અર્થે ફોરેસ્ટ ખાતાએ ધ્યાન આપવાની ખાસ જરૂરત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
જ્યારે આજરોજ સવારના દિનેશભાઈના ઘરના સભ્યોએ જોતા ચાર પશુઓ પૈકી એક ગાય મૃત જોવા મળેલ.અને ગાયને પેટના તથા પાછળના ભાગે જંગલી હિંસક પ્રાણીએ ગંભીર ઇજાઓ પહોંચાડવા ના કારણે ગાયનું મોત નીપજ્યું હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે ગામમાં થતી ચર્ચા મુજબ જવેસી- હિરોલા જંગલ વિસ્તારમાં પાંચ થી છ જેટલા જંગલી હિંસક પ્રાણીઓ ફરતા હોવાનું ગ્રામજનોની નજરે જોવા મળેલ હોવાનું ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.જોકે જંગલી પ્રાણી દ્વારા ગાયનું મારણ થતાં તેની જાણ ફોરેસ્ટ ખાતાને કરવામાં આવતા ફોરેસ્ટ કર્મચારીઓ એ સ્થળ ઉપર આવી પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
