દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોનું નવું સીમાંકન જાહેર :50 બેઠકોમાંથી 27% પછાત વર્ગો માટે અનામત. 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોનું નવું સીમાંકન જાહેર :50 બેઠકોમાંથી 27% પછાત વર્ગો માટે અનામત. 

દાહોદ તા. ૨૬

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફત્તેપુરા અને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ માટે મતદાર મંડળોની રચના અને બેઠકોની અનામત ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નવા સીમાંકન મુજબ દાહોદ જિલ્લા પંચાયત માટે કુલ 50 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે.

દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકોમાંથી અનુસૂચિત આદિજાતિ (ST) માટે સૌથી વધુ 38 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાંથી 19 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક ફાળવાઈ છે. જે મહિલા અનામત રાખવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માટે 27 ટકા લેખે કુલ 5 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં 2 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. બાકી રહેલી 6 બેઠકો બિન-અનામત (સામાન્ય) રહેશે. જેમાં 3 બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. આયોગે 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ 39,422ની વસતી દીઠ એક બેઠકની રચના કરી છે. જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોને કારણે કેટલાક મતદાર મંડળોમાં વસ્તીનું પ્રમાણ 20% ની નિર્ધારિત મર્યાદા કરતા પણ વધુ અથવા ઓછું રાખવાની ફરજ પડી છે. જેમાં મુખ્યત્વે ચાર મતદાર મંડળોનો સમાવેશ થાય છે. જેમાં ‘ભે’ મતદાર મંડળમાં વસતી 31,421 છે, જે 20% ની છૂટછાટ મર્યાદા કરતા 0.29 ટકા ઓછી છે. ખંગેલા મતદાર મંડળમાં 48,348 ની વસતી નોંધાઈ છે. જે મર્યાદા કરતા 5.17 ટકા વધુ છે. ખલતા ગરબડી વિસ્તારમાં 30,705 ની વસતી છે. જે મર્યાદા કરતા 2.10 ટકા ઓછી છે. જ્યારે નઢેલાવમાં 48,022 ની વસતી સાથે 20% ની મર્યાદા કરતા 4.35 ટકા વધુ વસતી સમાવવામાં આવી છે.શહેરી વિસ્તારોમાં વસ્તીની વધ-ઘટની મર્યાદા સામાન્ય રીતે 10% હોય છે. પરંતુ દાહોદ જિલ્લો દુર્ગમ અને પહાડી હોવાથી આયોગે ખાસ કિસ્સામાં 20% સુધીની છૂટછાટ આપી છે. આ છૂટછાટ હોવા છતાં ‘ભે’ અને ‘ખંગેલા’ જેવા વિસ્તારોમાં આ મર્યાદા પણ ઓળંગવી પડી છે.

રેલવે કે નદી જેવા કુદરતી અવરોધો આડે ન આવે માટે બાંધછોડ કરાઈ..

સીમાંકન પ્રક્રિયામાં કોઈ ગ્રામ પંચાયતના ગામો અલગ ન પડે, તાલુકા પંચાયતનો વિસ્તાર જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં જળવાઈ રહે અને રેલવે કે નદી જેવા કુદરતી અવરોધો આડે ન આવે તે માટે આયોગે આ ‘અપવાદરૂપ’ બાંધછોડ કરી છે. દાહોદ જિલ્લાની કુલ 19,71,101 વસતી મુજબ સરેરાશ 39,422 ની વસતી દીઠ એક બેઠક નક્કી કરાઈ છે, જેમાં ભૌગોલિક સંતુલન જાળવવા 20% સુધીની વસ્તી વધ-ઘટની મર્યાદાને આધાર બનાવવામાં આવ્યો છે.

Share This Article