
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના રામપુરા નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,12 દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત
ઓમકારેશ્વર અયોધ્યા દર્શન માટે નીકળેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાતા દાહોદ નજીક થયું અકસ્માત,
9 ભક્તો સારવાર હેઠળ,108 એમ્બ્યુલન્સ અને પોલીસની તાત્કાલિક કામગીરી..
દાહોદ તા.28
દાહોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અયોધ્યા જતી દર્શનાર્થીઓ ભરેલી ખાનગી લક્ઝરી બસ તેમજ ટ્રક વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 જેટલા શ્રદ્ધાળુઓને ઇજાઓ થતા તેઓને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. રામપુરા નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલી આ ઘટનામાં ખાનગી લક્ઝરી બસ આગળ ચાલતી ટ્રક સાથે જોશભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્ય આ બનાવમાં કોઈ જાનહાની બનવા પામી નહોતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતથી ખાનગી લક્ઝરી બસમાં દર્શનાર્થી ભક્તો ઓમકારેશ્વર અને અયોધ્યાના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં દાહોદ નજીક રામપુરામાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આગળ જતી ટ્રક સાથે દર્શનાર્થી ભરેલી ખાનગી લક્ઝરી બસ વચ્ચે જોશભેર ટક્કર થઈ હતી. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા બાર જેટલા દર્શનાર્થીઓને ઇજાઓ થતા વહેલી સવારે હાઇવે ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. દરમિયાન બસમાં મુસાફરી કરે રહેલા અન્ય લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી તેમજ સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચે તે દરમિયાન મુસાફરોએ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા અને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જ્યાં ત્રણ જેટલા દર્શનાર્થીઓને ઓછીવત્તી ઇજાઓ થતા તેઓને ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જ્યારે 9 જેટલા દર્શનાર્થી ભક્તો હાલ સારવાર હેઠળ છે.
*ઇજાગ્રસ્ત દર્શનાર્થીઓની યાદી..*
(૧) મૂળજીભાઈ અમરાભાઇ પરમાર ઉમર 62
(૨) વિઠ્ઠલભાઈ સવજીભાઈ રાઠોડ ઉમર 65 વર્ષ
(૩) લક્ષ્મીબેન વણકર ૬૦ વર્ષ
(૪) જયંતીભાઈ ચૌહાણ 55 વર્ષ
(૫) રુદ્રભાઈ જયંતીભાઈ ચૌહાણ 16 વર્ષ
(૬) ધ્રુવીલભાઈ નરેશભાઈ જાદવ 20 વર્ષ
(૭) પ્રેમીલાબેન નરેશભાઈ જાદવ 32 વર્ષ
(૮) રણછોડભાઈ રાવલ 43 વર્ષ
(૯) નરેશભાઈ જાદવ 43 વર્ષ