
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ.૨૪,૮૬૫ કરોડના ૨૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે*
*દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે ૨૧ હજાર કરોડ ઉપરાંતના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે*
*વડાપ્રધાનશ્રી રૂ.૧૮૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે*
*મહીસાગર અને દાહોદ જિલ્લાના ૧૯૩ ગામો અને એક શહેરની ૪.૬૨ લાખ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળશે*
*મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ મળવા સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં થશે વધારો*
દાહોદ તા. ૨૪
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૬,૨૭ મે ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દાહોદમાં ખરોડ ખાતે તા.૨૬ મીના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના રૂ.૨૪,૮૬૫ કરોડના ૨૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં રૂ.૨૧,૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ – રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવા સાથે આણંદ – ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ – હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી – બોટાદ ૧૦૭ કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ – કડી – કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ.૨૨૮૭ કરોડના કામો સહિત રેલવેના કુલ રૂ.૨૩,૬૯૨ કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે.દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે ૨૧ હજાર ઉપરાંત કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે
. લોકોમોટિવ એન્જિન પર ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’ લખાશે. દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ દસ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનવા સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. દાહોદમાં બનેલું લોકોમોટિવ એન્જિન ૪૬૦૦ ટનના કાર્ગોનું વહન કરી શકશે.આગામી ૧૦ વર્ષમાં ૧૨૦૦ જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનશ્રી મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂ.૧૮૧ કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના ૧૯૩ ગામો અને એક શહેરની ૪.૬૨ લાખ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા અંદાજે રૂ. ૪૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ નમનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ૩૭ ગામો વીરપુર અને લુણાવાડા તાલુકાનું એક એક ગામ સહિત કુલ ૩૯ ગામોની ૧.૦૧ લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે.
તેવી જ રીતે રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ૪૯ અને લુણાવાડા તાલુકાના ત્રણ સહિત કુલ ૫૧ ગામની ૧.૧૬ લાખ વસ્તી અને વીરપુર શહેરની ૧૫૦૧૧ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાનશ્રી રૂ.૩૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ચારણગામ (ન) સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરનાર છે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ૪૪ ગામોની ૮૩ હજાર ઉપરાંત જનસંખ્યાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
આ ઉપરાંત રૂ.૨૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ યોજના હેઠળ જૂથ યોજના હેઠળ ન જોડાયેલા ૧૧ ગામો અને કડાણા ભાગ -૨ જૂથ યોજનાના ૩૧ ગામો તેમજ ભાણાસીમલ જૂથ યોજનાના ૧૬ ગામોને ૧૦૦ એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ૫૮ ગામોની ૧.૪૬ લાખ વસ્તીને આવરી લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચાર પાણી પુરવઠા યોજનાઓ થકી બાલાસિનોર તાલુકાના ૩૭, વીરપુર તાલુકાના ૫૦,લુણાવાડા તાલુકાના ૪૮,સંતરામપુર અને ફતેપુરા તાલુકાના ૫૮ સહિત કુલ ૧૯૩ ગામો અને એક શહેરને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના રૂ.૨૩૩ કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે.આ ઉપરાંત પોલીસ હાઉસિંગના રૂ.૫૩ કરોડના કામોનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાનશ્રી મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં સાવલી – ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા,કાયાવરોહણ – સાધલી માર્ગ,જરોદ – સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા – રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ.૫૮૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
આ ઉપરાંત મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અમૃત ૨.૦ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.૨૬ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવા સાથે છોટાઉદેપુર જિલ્લામાં રૂ.૨૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ રૂ.૭૩ કરોડના ખર્ચે એલ.સી ૬૫ ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે.આમ,વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ.૭૦૬ કરોડના વિવિધ સાત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વિવિધ વિકાસ કામોથી આ વિસ્તારના વિકાસને વેગ મળવા સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થશે.