
રાજેશ વસાવે :- દાહોદ
કુદરતી આફતે કાળો કેર વર્ત્યો:દાહોદ જિલ્લામાં વિનાશક વાવાઝોડામાં 525 મકાનોને નુકશાન,ત્રણના મોત…
દાહોદમાં બીજા દિવસે ધોધમાર વરસાદ, ઉનાળા પાકને નુકસાન પહોંચવાની ભીતિ..
200 થી વધુ વીજપોલ ધરાશાયી:717 ગામડાઓમાં અંધારપટ,180 માં સવાર સુધીમા લાઈટો ચાલુ,587 ગામડાઓમાં 24 કલાક બાદ પણ અંધારપટ..
ગામોમાં 50 મકાનોમાં આગ,100 થી વધુનો સ્થળાંતર:25 થી વધુ ઇજાગ્રસ્ત,9 મૂંગા પશુઓના મોત..
195 જેટલા વૃક્ષો ધારાશાયી: રેલવેમાં પણ બાઉન્ડ્રી વોલ તૂટતા નુકશાન..
દાહોદ તા.06
દાહોદ જિલ્લામાં ગઈકાલે સાંજે ફુંકાયેલા વિનાશક વાવાઝોડાએ સમગ્ર જિલ્લામાં કાળો કેર વર્ત્યો હતો, દાહોદ જિલ્લામાં 27 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા વાવાઝોડામાં દાહોદ જિલ્લામાં 525 થી વધુ મકાનોમાં ભારે નુકસાન થયું હતું.સાથે સાથે 19 ગામોમાં વીજળી પડવાથી તેમજ શોર્ટસર્કિટના કારણે 50 મકાનોમાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે રાતભર ફાયર બ્રિગેડના લાલ બંબાઓ દોડતા જોવા મળ્યા હતા અને સમગ્ર દાહોદ જિલ્લો સાયરાનો થી ગુંજી ઉઠ્યો હતો. પ્રચંડ વાવાઝોડાએ 195 જેટલા ઝાડો જમીનદોસ્ત થતા વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. એટલું જ નહીં આ કુદરતી આફતમાં બે મહિલા સહિત ત્રણના મોત થયા હતા. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં બીજા દિવસે પણ વાદળ છાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ વરસાદના પગલે ઉનાળા પાકને નુકસાન થતા ખેડૂતોને પણ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો.
સોમવારની ઢળતી સાંજે દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને ધૂળની ડમરીઓ સાથે 27 કિલોમીટરની ઝડપે ફુકાયેલા વિનાશક વાવાઝોડાએ સમગ્ર દાહોદ જિલ્લાને ધમરોલી નાખ્યો હતો.આ વાવાઝોડાના લીધે અલગ અલગ ગામોમાં વીજળી પડવાથી તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં 50થી વધુ મકાનો આગમાં બળી ગયા હતા. તેમજ આ કુદરતી આફતમાં દેવગઢ બારીયા ના તોયણીમાં પટેલ શંકરભાઈ સનાભાઇ, રૂવાબારીમાં લબડા મંગીબેન પ્રતાપભાઈ , તેમજ લીમખેડા ના ધૂમડીમાં જાગૃતીબેન અશ્વિનભાઈ માવીનું મોત નિપજ્યું હતું. તેમજ ગરબાડા, દાહોદ,લીમખેડા,દેવગઢબારિયા, ધાનપુર સહિતના વિસ્તારોમાં 25 થી વધુ લોકોને ઇજાઓ થતા તેઓને સારવારથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કુદરતી આફતને લઈ દાહોદ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેમજ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં 195 થી વધુ વૃક્ષો ધરાસાઈ થતાં સંખ્યાબંધ માર્ગો બંધ પડ્યા હતા. જેને તંત્ર દ્વારા જેસીબી વડે ખુલ્લો કરવામાં આવ્યો હતો. અનેક સ્થળે વીજળી પડવાના બનાવો પણ સામે આવ્યા હતા. સોમવારે રાત્રે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ થયો હતો. તો બીજા દિવસે બપોરના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગટરો ઉભરાઈને રોડ પર પાણી આવતા લોકો અટવાયા હતા.
*ઠેક-ઠેકાણે 200 થી વધુ વીજપોલને નુકશાન: હાઈ ટેન્શન લાઈનો ઉપર ઝાડ પડતા 717 ગામડાઓમાં અંધારપટ..*
વાવાઝોડાના પગલે દાહોદ જિલ્લાના 24 ફિડરોમાંથી આવતી હાઈ ટેન્શન લાઈનો ઉપર ઝાડ પડતા વીજ કેબલો તેમજ પોલ તૂટી પડ્યા હતા. જેના લીધે 717 જેટલા ગામડાઓમાં અંધાર પટની પરિસ્થિતિ સર્જાઇ હતી. જોકે એમજીવીસીએલએ રાતભર કામગીરી કરી 180 જેટલા ગામોમાં વીજ પુરવઠો પુરવત કર્યો હતો. જિલ્લાના ૨૪માંથી ૨૧ ફીડર સવાર સુધી ચાલુ કરવામાં આવ્યા હતા.જ્યારે 587 ગામોમાં ભારે નુકસાનથી 24 કલાક પછી પણ અંધારપટની પરિસ્થિતિ હતી.
*લગ્ન સમારંભમાં વાવાઝોડાનું વિક્ષેપ: સંખ્યાબંધ સ્થળે લગ્નના મંડપ તૂટ્યા.*
દાહોદ જિલ્લામાં હાલ આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે. જેના લીધે ઠેક ઠેકાણે લગ્ન પ્રસંગો ના લીધે ટેન્ટ અને મંડપ બાંધવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડાએ લગ્ન સમારંભમાં વિક્ષેપ પાડ્યો હતો. પ્રચંડ વાવાઝોડામાં કેટલાક સ્થળોએ લગ્નના ટેન્ટ મંડપ, હવામાં ફંગોળાઈ ગયા હતા, તો કેટલાક સ્થળે જમણવાર પણ બગડી ગયું હતું. જેના લીધે વર અને કન્યા પક્ષના લોકોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો.
*ઇન્ટરનેટ સેવા ખોરવાતા દાહોદ જિલ્લાની વિવિધ કચેરીઓમાં કામકાજ ઠપ્પ: અરજદારો લાભાર્થીઓને હાલાકી.*
દાહોદ જિલ્લામાં મુકાયેલા વાવાઝોડાએ ચારે કોર તબાહી સર્જી હતી. જેમાં સરકારી કચેરીઓ પણ બાકાત રહી નહોતી. દાહોદની વિવિધ કચેરીઓમાં ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતા જિસવાનના ડીસીમાં ભારે નુકસાન થતા મામલતદાર પ્રાંત તેમજ અન્ય કચેરીઓમાં સવારથી જ ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જેના લીધે ઉપરોક્ત કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લાભાર્થીઓ અરજદારોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
*કેટલાક સ્થળે વાહનોનો કચ્ચરઘાણ વળતા વાહનોને નુકસાન.*
દાહોદ શહેરમાં આઝાદ શોપિંગ સેન્ટર પાસે દિવાલ પડતા મોપેડનું કચ્ચરઘાણ વળ્યું હતું. તેમજ ઝાલોદ હાઇવે પર આવેલી આરએમબી ઓફિસની સામે ઝાડ નીચે પાર્ક કરેલી ફોરવીલર ગાડી પર ઝાડ પડતા ફોરવીલર ને નુકસાન થયું હતું. તેવી જ રીતે કોલેજ પાસે ફોરવીલર ઉપર ઝાડ પડતા ફોરવીલરને ભારે નુકસાન થયું હતું. આ સિવાય જિલ્લામાં કેટલાક સ્થળે વાહનો ઉપર ઝાડ પડવાના બનાવ બનતા વાહનોમાં વ્યાપક નુકસાન થયું હતું.