જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે:- દાહોદ
દાહોદ શહેરમાં છોકરી ભગાડી લઈ જવાના મામલે બે પક્ષો વચ્ચે છુટા પથ્થરો તેમજ મારામારીના દ્રશ્યો સર્જાયા,સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઇ..
દાહોદ તા.૨૦
દાહોદ શહેરમાં છોકડી ભગાડી લઈ જવાના મામલે બે પક્ષો વચ્ચે છુટા પથ્થરો તેમજ સામસામે મારામારીના દ્રશ્યો સર્જાતાં મહિલા સહિત સાત વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ થયાનું જાણવા મળે છે. આ મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા.૧૯મી નવેમ્બરના રોજ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે રહેતાં રાહુલભાઈ દિનેશભાઈ મીનામા, વિનોદભાઈ અને તેમની બહેન કાજલબેનને મોટરસાઈકલ પર બેસાડી તેના સાસરી બોરખેડો મુકામે મુકવા જતાં હતાં. આ દરમ્યાવન દાહોદ શહેરમાં આવેલ ઠક્કરબાપા સ્કુલ પાસે દાહોદ તાલુકાના વાંદરીયા ગામે કાકરી ફળિયામાં રહેતાં વિજયભાઈ ઉર્ફે લાલો રાજુભાઈ ભુરીયા, અજયભાઈ ઉર્ફે અક્કુ રાજુભાઈ ભુરીયા અને વિશાલ રાજ્જુભાઈ ભુરીયાનાઓએ રાહુલભાઈની મોટરસાઈકલ ઉભી રાખી હતી અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું મારી બહેન નીશાને કેમ બીજી વખત ભગાડેલ છે, તેમ કહી ઝઘડો તકરાર કર્યાેં હતો અને આ દરમ્યાન રાહુલભાઈએ મોબાઈલ ફોન કરી તેમના પિતા દિનેશભાઈ તથા તેમના પરિવારજનોમાંથી રમેશભાઈ અને વિનોદભાઈને બોલાવતાં વિજયભાઈ, અજયભાઈ અને વિશાલભાઈ એકદમ ઉશ્કેરાયા હતાં અને છુટ્ટા પથ્થરો તેમજ ઝપાઝપી અને મુક્કાથી માર મારી વિનોદભાઈ, કાજલબેન અને વિશાલભાઈને શરીરે, હાથે પગે અને મોંઢાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત રાહુલભાઈ દિનેશભાઈ મીનામાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષેથી વાંદરીયા ગામે કાંકરી ફળિયામાં રહેતાં વિજયભાઈ રાજુભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૯મી નવેમ્બરના રોજ વિજયભાઈ અને તેમની સાથે પોતાના પરિવારજનો દાહોદ શહેરમાં આવેલ ઠક્કર બાપા સ્કુલ તરફથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન વિજયભાઈની બહેનને અગાઉ અક્ષય સુરમલભાઈ મીનામા તથા રાહુલભાઈ દિનેશભાઈ મીનમાનાઓ ભગાડી લઈ ગયાં હતાં જે બાબતે પોલીસ ફરિયાદ થયેલ હોઈ આ અંગેની રીસ રાખી દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે ગરવાલ ફળિયામાં રહેતાં રાહુલભાઈ દિનેશબાઈ મીનામા, મહેશભાઈ રમેશભાઈ મીનામા, દિનેશભાઈ બીજીયાભાઈ મીનામા અને રમેશભાઈ બીજીયાભાઈ મીનામાનાઓએ વિજયભાઈ પાસે આવ્યાં હતાં અને તેમની સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી વિજયભાઈ તથા તેમની સાથેના વ્યક્તિઓને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
ઉપરોક્ત બંન્ને પક્ષોની ફરિયાદના આધારે દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————————