ઝાલોદ:હિરેન પટેલ મર્ડર કેસ:મધ્યપ્રદેશ ખાતેથી પકડાયેલા ઢાબા માલિક સહીત બે આરોપીઓના રિમાન્ડ પુરા થતાં ગોધરા જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયા

Editor Dahod Live
3 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલર હિરેન પટેલના મોતના બનાવમાં અગાઉ ચાર આરોપીઓને દાહોદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓના રિમાન્ડ પુરા થતાં તેઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે બીજી તરફ આ કેસમાં વધુ બે ઝડપાયેલા ઈસમો મધ્યુપ્રદેશના મહેદપુરના ઢાબાના માલિક તથા તેના સાગરિતના પણ આજે રિમાન્ડ પુરા થતાં તેઓને ગોધરાની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં હિરેન પટેલના મોતના પાછળનું સાચુ કારણ હાલ પણ અકબંધ રહેવા પામ્યું છે.

ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલર હિરેન પટેલના મોતને માર્ગ અકસ્માતમાં ખપાવવા ૨૦૦૨ના ગોધરા કાંડના કુખ્યાત આરોપી એવા ઈરફાન પાડા, ઝાલોદના બુટલેગર અજય કલાલ તેમજ મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો મળી આ ચાર આરોપીઓના ગઈકાલે એટલે કે, તારીખ ૨૬મી ઓક્ટોબરના રોજ રિમાન્ડ પુરા થતાં ચાર પૈકી ત્રણને દાહોદની જ્યુડીશીયલ કસ્ટડીમાં તેમજ ઈરફાન પાડાને વડોદરા મોકલી દેવામાં આવ્યો છે. આ કેસમાં હિરેન પટેલના મોતનું સુનિયોજીત કાવતરૂં મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહેદપુર ખાતેના એક ઢાબાના માલિકના ત્યા રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થતાં જ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમોએ મધ્યપ્રદેશ તરફ આ કેસની કડીઓ મેળવવા તપાસનો સીલસીલો શરૂ કર્યો હતો અને તપાસમાં ગાડી નંબર એમ.પી.૦૯.સી.કે.૪૯૮૧ના આરોપીઓને ગુનો કરવા માટે પુરી પાડેલ તે આરોપીઓના નામ ખુલ્યા હતા અને આ મર્ડરનો પ્લાન ઉજ્જૈનના મહેદપુર ખાતે આવેલ ઢાબાના માલિક બાલારામ ભુવાનજી ભીલવાડાના ઢાબા ઉપર અને તેની સાથે તેનો સાગરીત સલીમ ઉર્ફે કાળાભાઈ ખાજુભાઈ શેખ (રહે.મહેદપુર) હિરેન પટેલના મોતના એક દિવસ અગાઉ ઝડપાયેલા ચાર અને આજે વધુ ઝડપી પાડવામાં આવેલ આ બે આરોપીઓ મળી તમામે આ ઢાબા ઉપર  હિરેન પટેલની મોતનું સુનિયોજીત કાવતરૂં રચ્યું હતુ. આ સંબંધે પોલીસે મહેદપુરમાં વોચ ગોઠવી કેટલાક દિવસો પુર્વે ઢાબાના માલિક બાલારામ ભુવાનજી ભીલવાડા અને સલીમ  ઉર્ફે કાળાભાઈ ખાજુભાઈ શેખને ઝડપી પાડ્યા હતા અને દાહોદ ખાતે લઈ આવ્યા હતા ત્યાર બાદ આ બંન્ને ઈસમોને ઝાલોદની કોર્ટમાં હાજર કરતાં તેઓને તારીખ ૨૭મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા અને આજે તેઓના પણ રિમાન્ડ પુરા થતાં તેઓને ગોધરાની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે, હાલ પણ હિરેન પટેલના મોતના પાછળનું સાચુ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસ દ્વારા પણ સઘન તપાસનો ધમધમાટ આરંભ કરી આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ કોઈ ચુક અથવા તો કોઈ બેદરકારી ચલાવી લેવા માંગતી ન હોવાથી આ કેસ તરફ પોતાનું સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે ત્યારે આવનાર થોડાક જ દિવસો આ સમગ્ર કેસ ઉપરથી પડદો ઉચકાશે અને મોટા માથાઓ બહાર આવશે તેવી છડેચોક લોક ચર્ચાઓએ જન્મ લીધો છે.

———————————

Share This Article