
દાહોદમાં શ્રી દશાનીમા વણિક સમાજ તરફથી ધો.૧૦ -૧૨ ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
દાહોદ તા.18
દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક વિદ્યોત્તેજક મંડળ તથા શ્રી દશાનીમા વણિક સમાજના સંયુક્ત ઉપક્રમે તા.૧૮.૨.’૨૩ ના રોજ શ્રી દશાનીમા વણિક સમાજના ધો.૧૦ તથા ધો.૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શુભકામના સહ માર્ગદર્શન અંગે એક સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં લીટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય કૃતાર્થભાઈ જોશીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરક ઉદ્દબોધન કરતાં હવે બાકી રહેલા પરીક્ષાના છેલ્લા બે સપ્તાહમાં અંતિમ તૈયારીઓને કેવી રીતે ઓપ આપવો તે વિશે સમજણ આપવા સાથે પરીક્ષાખંડમાં હાથમાં પેપર આવે તે બાદ વિદ્યાર્થીઓએ ગભરાયા વિના શું શું ધ્યાન રાખવું રહ્યું તે અંગે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. વણિક સમાજના પ્રમુખ મૃણાલભાઈ પરીખ, મંત્રી ગોપીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આયોજિત આ સેમિનારમાં વિદ્યોત્તેજક મંડળના પ્રમુખ રમેશચંદ્ર દેસાઈ, મિહીરભાઈ શાહ સહિતના તજજ્ઞોએ પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.