જીગ્નેશ બારીયા @ દાહોદ,વિપુલ જોષી @ ગરબાડા
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લામાં લોકડાઉન દરમ્યાન છેલ્લા કેટલાક સમયથી એક પછી એક મર્ડરના કિસ્સાઓમાં ચિંતાનજક વધારો નોંધાવા પામ્યો છે. જાણવા મળ્યા અનુસાર અત્યાર સુધી ૬ જેટલા મર્ડરના કેસો પોલીસ ચોંપડે નોંધાવા પામ્યા છે. આવા સમયે વધુ એક મર્ડરનો બનાવ સામે આવતાં પોલીસ તંત્ર સહિત જિલ્લાવાસીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગરબાડા તાલુકાના ચંદલા ગામે તળાવમાં માછલા મારવાના ખોટા આક્ષેપો મુકી એક વ્યક્તિને ચાર જેટલા ઈસમોએ ગડદાપાટ્ટુનો ગેબી મારમારતાં સ્થળ પર મોત નીપજાવી આ ચારેય જણા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સંબંધે પોલીસે ચારેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. ગરબાડા તાલુકામાં એક જ દિવસની આ બે મર્ડરની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી જાવા મળી હતી.
લોક ડાઉન બાદ ટૂંકાગાળામાં ગરબાડા તાલુકામાં એક પછી એક લગલગાટ હત્યાની ચાર ઘટનાઓ બનતા પંથકમાં ભયની સાથે ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં પહેલી ઘટના સાતમી એપ્રિલના રોજ આંબલી ખજુરીયામાં જૂની અદાવતમાં યુવાનની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી હતી.જ્યારે બીજી ઘટના તેના આઠ દિવસ બાદ ઝરીખરેલી ગામે પત્ની ગમતી ન હોવાના કારણે પતિએ જ ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તારીખ ૨૮ મીના એક જ દિવસમાં વધુ બે હત્યાના બનાવો બન્યા હતા. આમ અત્યાર સુધી દાહોદ જિલ્લામાં ૬ જેટલા મર્ડરના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ એક મર્ડરનો કિસ્સો તે પણ ગરબાડા તાલુકામાં સામે આવ્યો છે જેમાં ચંદલા ગામે જામળા ફળિયામાં રહેતા હીમરાજભાઈ કટીયાભાઈ કટારા ગત તા.૨૮મી એપ્રિલના રોજ પોતાની પત્ની અને બાળકો સાથે ગામમાં આવેલ એક તળાવમાં નાહવા ગયા હતા આ દરમ્યાન ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રહેતા દિતીયાભાઈ રૂપસીંગબાઈ મોહનીયા, પરેશભાઈ દિતીયાભાઈ મોહનીયા, હરેશભાઈ દિતીયાભાઈ મોહનીયા અને ખુમાનસભાઈ રૂપસીંગભાઈ મોહનીયા દ્વારા હીમરાજભાઈ સાથે ઝગડો તકરાર કરી કહેલ કે, તુ તળાવમાં અમારા ઉછેરકરેલ માછલા કેમ મારે છે, તેમ કહી ઉપરોક્ત ચારેય જણાએ હીમરાજભાઈને ગડદાપાટ્ટુનો તેમજ પેટના ભાગે લાતો મારી ગેબી ગંભીર ઈજાઓ પહોંચાડતા હીમરાજભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મારામારી દરમ્યાન વચ્ચે છોડવવા પડેલ રતનભાઈને પણ ઉપરોક્ત ચારેય ઈસમોએ લાકડીઓ વડે માર મારી શરીરે ઈજાઓ પણ પહોંચાડી હતી.
આ સમગ્ર મામલે ગામમાં રહેતા વિનુભાઈ કટીયાભાઈ કટારા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
આ સમગ્ર મામલે ગામમાં રહેતા વિનુભાઈ કટીયાભાઈ કટારા દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
