ઉત્તરાયણ પર્વ દરમિયાન “કરુણા અભિયાન અંતર્ગત”૫૧ ઘાયલ પક્ષીઓની સારવાર ત્રણ પક્ષીઓના સારવાર દરમિયાન મૃત્યુ, ૧૦૮ એમ્બ્યુલન્સે ત્રણને સારવાર આપી જીવ બચાવ્યો: એમજીવીસીએલ એ પણ ખડે પગે રહી ટ્રીપીંગના 225 રીપેર કર્યા

Editor Dahod Live
2 Min Read

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત  ૫૧ ઘાયલ પક્ષીઓની સારવાર ત્રણ પક્ષીઓના સારવાર દરમિયાન મૃત્ય, ૪૭ પક્ષીઓને સારવાર બાદ મુક્ત કરાયા, ૧૦૮ એમ્બ્યુલન્સે ત્રણ વ્યક્તિને તુરંત સારવાર આપી, એમજીવીસીએલની ટીમો ખડે પગે રહી ટ્રીપિંગના ૨૨૫ કેસમાં તુરંત વીજ લાઇનો રિપેર કરવામાં આવી 

દાહોદ તા.13

Contents

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન ચાલવવામાં આવેલા કરુણા અભિયાનને પરિણામે દાહોદ નગર અને જિલ્લામાં પતંગના દોરથી ઘાયલ ૪૮ પક્ષીઓને નવજીવન મળ્યું છે. જો કે, પતંગના દોરથી ગંભીર રીતે ઘાયલ ત્રણ પક્ષીઓને બચાવી શકાયા નથી. 

ઉક્ત અભિયાનની વિગતો આપતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારે કહ્યું કે, દાહોદ જિલ્લામાં પ્રકૃત્તિ મિત્ર મંડળ સહિતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારની કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલી આ પક્ષીઓને લઇ સારવાર કરવામાં આવી હતી. 

ઉત્તરાયણના દિવસે દાહોદ નગર અને જિલ્લામાં કુલ ૫૧ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના શાંતિના દૂત ગણાતા કબુતરનો સામવેશ થાય છે. આ પક્ષીઓ તુરંત સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ૪૭ પક્ષીઓને આકાશમાં છોડી મૂકવામાં આવ્યા છે. આજની સ્થિતિએ એક પક્ષી હજુ સારવાર હેઠળ છે. જ્યારે, ત્રણ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. આ અભિયાનમાં પશુપાલન વિભાગના તબીબોનો સહયોગ અમૂલ્ય રહ્યો હતો. 

વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર શ્રી સંજય વર્માએ જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસે સમગ્ર દાહોદ જિલ્લામાં ૩૦૦થી વધુ વીજસૈનિકોએ સેવા બજાવી હતી. એમજીવીસીએલને ૨૨૫ જેટલી લાઇન ટ્રીપિંગની ફરિયાદો મળી હતી. આ લાઇનનો તુરંત રિપેર કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. વીજલાઇનમાં ફસાયેલી પતંગને કાઢવા જતાં લાઇનો ટ્રીપ થવાનું બહુધા કિસ્સામાં ધ્યાને આવ્યું છે. 

આમ તો દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઇ છે. પણ, કેટલાક કિસ્સામાં તકેદારના અભાવના કારણે અકસ્માત પણ થવા પામ્યા છે. જેમાં પતંગ ચગાવતી વેળાએ પડવાથી બે કેસમાં અને પતંગ લૂંટવા જતાં બાઇક સાથે અથડાઇ જવાના એક કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સારવાર આપવામાં આવી હોવાનું જીવીકેના શ્રી દર્શક જોશીએ જણાવ્યું હતું. 

Share This Article