જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૦૬
દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે એક સાથે ૪ મકાનોમાં અકસ્માતે આગ લાગતાં આગમાં ચારેય મકાનો સંપુર્ણ બળી જવા પામ્યા હતા જેના પગલે ઘરનો સામાન, અનાજ, ચાંદી, રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂ.૧૦ લાખનું નુકસાન થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ દાહોદ ફાયર સ્ટેશનને થતાં તેઓ તાબડતોડ સ્થળે પર પહોંચી ગયા હતા અને આગને ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી. દાહોદ તાલુકાના ઉચવાણિયા ગામે લાલા ફળિયામાં રહેતા દેવધા તેજાભાઈ કમજીભાઈ, દેવધા જાગાભાઈ કાવજીભાઈ, દેવધા ગજાભાઈ કાનજીભાઈ તથા દેવધા વજાભાઈ કાનજીભાઈના મકાનમાં ગત તા.૪ મે ના રોજ અકસ્માતે આગ ભભુકી ઉઠી હતી. જાતજાતામાં આગે વીકરાળ રૂપ ધારણ કરતાં ચારેય મકાનો સંપુર્ણ બળી જવા પામ્યા હતા. ઘટનાની જાણ દાહોદ ફાયર સ્ટેશનને થતાં તેઓ પાણીના બંબા લઈ સ્થળ પર તાબડતોળ પહોંચી ગયા હતા પરંતુ આગની અગન જ્વાળાઓમાં ઘરવખરી સામાના, અનાજ, ચાંદી રોકડા રૂપીયા મળી કુલ રૂ. ૧૦ લાખ નુકસાન થવા પામ્યું છે. ફાયર ફાયટરો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદ્નસીબે આ આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.