મુખ્ય મંત્રીશ્રી – નાયબ મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ:રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને પ્રધાન મંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશો અંગે સમીક્ષા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

Editor Dahod Live
3 Min Read

  દાહોદ લાઈવ….

  • મુખ્ય મંત્રીશ્રી – નાયબ મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ
  • રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને પ્રધાન મંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશો અંગે સમીક્ષા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
  • રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વરિષ્ઠ સચિવશ્રીઓને તાકીદે જવાબદારી સોંપવામાં આવી
  • કોરોના વેકેસીનેશન સેન્ટરોની સંખ્યા વધારવામાં આવશે તેમજ વેકેસીનેશન સેન્ટરનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો કરાશે
  • કોન્ટેક ટ્રેસીંગ અને કોરોના ટેસ્ટીંગ વધારવા ઉપર વિશેષ ઝોક અપાશે 
  • ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચૂસ્ત પાલન કરાવાશે
  • નિયમોના ઉલ્લંઘન સામે ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે

ગાંધીનગર તા.17

 મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓની યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશનો અંગેની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

 આ કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ નીર્ણયો લઇને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સઘન બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી

આ મહત્વના નિર્ણયો અનુસાર રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસીંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કંન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે.

 મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના વેકસીનેશનની કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેકસીનેશન સેન્ટરનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી

 તેમણે કહ્યું કે, હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરવામાં આવશે.

  શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ સૂચનાઓ આપી છે.

 રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવશ્રીઓને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ શ્રી ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) શ્રી મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર શ્રી એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

 કોર કમિટીની આ લંબાણપૂર્વક ચાલેલી બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, મુખ્ય મંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ શ્રી જયંતિ રવિ, શિક્ષણ અગ્ર સચિવ શ્રી અંજુ શર્મા અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા

Share This Article