દાહોદ લાઈવ ડેસ્ક
હિરેન પટેલ હત્યા કેસ માં ચારેય આરોપી ને વિડિયો કોન્ફરન્સ થી ઝાલોદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા,પોલીસે ૧૪ દિવસ ના રિમાન્ડ માંગતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા,સંવેદનશીલ અને હાઈ પ્રોફાઈલ કેસ હોઈ, તંત્રની તમામ મશીનરી ઉપયોગ માં લેવાઈ
દાહોદ તા.15
ઝાલોદના કાઉન્સિલર અને અગ્રણી એવા હિરેનભાઈ પટેલ હત્યાકાંડની તપાસમાં ચાર જેટલા આરોપીને પોલીસ વિભાગની વિવિધ ટીમો દ્વારા ઝડપી પાડવામાં આવ્યા બાદ, હિરેનભાઈ પટેલનું મોતએ અકસ્માત નહિ પણ સુનિયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું હતું.
અને આ હત્યાકાંડમાં મધ્ય પ્રદેશના બે તથા ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા તેમજ ઝાલોદના અજય કલાલના નામો બહાર આવતા જ, નગરનું વાતાવરણ ગરમાયું હતું. અને પકડાયેલા આરોપી પૈકી અજય કલાલના ઘર પર પથ્થર મારો પણ થયો હતો. એક સમયે નગરમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. જો કે પોલીસ ની સૂઝબૂઝ થી તંગદિલી ટાળી હતી.
આજે ગુરુવારના રોજ આ તમામ પકડાયેલા આરોપીઓને ઝાલોદની કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવનાર હોઈ સવારથી જ પોલીસ આ કામગીરી માં જોતરાઈ હતી.અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે ફૂંકી ફૂંકી અને પગલાં મૂકી રહી હતી.
ત્યારે આ ચારેય આરોપીના વકીલ દ્વારા આરોપીઓની સુરક્ષાના પગલે તેમજ કોરોના પેનડેમિકને લીધે આ તમામ આરોપીઓને ઓનલાઈન રજૂ કરવાં માટે ની અરજી કરવામાં આવી હતી.જેને મંજૂર કરવામાં આવતા. આ તમામ આરોપીઓ ને વિડિયો કોન્ફરન્સથી જ રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ ના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટ દ્વારા ૨૨ મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. વધુ અને મોટા નામો ખુલવાની શક્યતાઓને પગલે આ સાત દિવસ પોલીસથી લઈને મુખ્ય સૂત્રધાર સુધીના તમામ લોકો માટે ખુબજ કપરા બની રહે તેમ છે.ત્યારે પોલીસ પણ આ કેસ માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
ચારેય આરોપીને ઓનલાઇન કોર્ટમાં રજુ કરવાનો પ્રથમ કિસ્સો
ચારેય આરોપીઓને રજૂ કરતી વખતે નગરની શાંતિ ન જોખમાયથી લઈને આરોપીઓની સુરક્ષા નો પ્રશ્ન પણ ઉદભવે તેમ હોઈ, પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકના સમય દરમ્યાન જ આ આરોપીઓ રજૂ થઈ જાય તો શાંતિ સમિતિની મીટીંગની સાથે સાથે પોલીસ નું કામ પણ શાંતિ થી થઇ જાય એવી ગોઠવણ હોય તેવી શક્યતાઓ છે. પરંતુ વિડિયો કોલિંગથી જ આ કામ પતી જતા પોલીસે પણ રાહત નો દમ લીધો હતો. જો કે આમ વિડિયો કોલિંગથી આરોપીઓ રજૂ થયા હોય તેવો આ ઝાલોદ કોર્ટ નો પ્રથમ કિસ્સો છે. તો કદાચ જિલ્લા નો કે રાજ્ય નો પણ પ્રથમ કિસ્સો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઝાલોદના હાઈપ્રોફાઈલ અને અત્યંત સંવેદનશીલ હત્યાના પ્રકરણમાં પોલિસે સાવચેતીના ભાગરૂપે શાંતિ સમિતિની મીટિંગ બોલાવી પડી
ઝાલોદ પ્રાંત કચેરીમાં શાંતિ સમિતિ ની બેઠક બોલાવાઈ હતી.પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક માં પોલીસને સહયોગ થી લઈને કોરોના સુધી ના મુદ્દા ચર્ચાયા હતા.અને હિરેનભાઈ પટેલ ની હત્યા બાદ નગરજનો ને શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી.