રાજેશ વસાવે, દાહોદ
દાહોદ શહેરના પડાવમાં ફોર વહીલ ગાડીની અડફેટે બાઈક સવાર બે ઈસમો પૈકી એકનું મોત:એક ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૧૧
દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.
ગત તા. ૯મી જુલાઈના રોજ દાહોદ શહેરના પડાવ ઓવર બ્રીજ ઉપર સુરેશભાઈ સુરસિંગભાઈ ચૌહાણ (રહે. બહેડવા, ખેડા ફળિયું, અલીરાજપુર, મધ્યપ્રદેશ) નાએ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતં હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે અને મુળ જુનાગઢ ખાતે રહેતાં દેવાંગભાઈ ભરતભાઈ ગોહીલ અને રવિ અતુલભાઈ ભીમજીયાણીની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે દેવાગભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે રવિભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે રહેતાં સાવ મનોજભાઈ ગોધાસરાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
