દાહોદ જિલ્લામાં ગેસ અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા અંગે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં ગેસ અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા અંગે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*

દાહોદ તા. ૩૦

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગેસ એજન્સી તથા પેટ્રોલ પંપ એજન્સીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને કેરોસીનના પુરવઠા તથા વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ ગેસ એજન્સીઓને સૂચના આપી હતી કે ગેસ સિલિન્ડરનું વિતરણ સમયસર થાય અને કોઈ પણ ગ્રાહકને વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. ગ્રાહકોને ગેસ બાટલા મળવામાં લાગતા દિવસોની નિયમિત મોનિટરિંગ કરવા તેમજ ઈ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. ઉપરાંત, નવા ગ્રાહકોને ગેસ કનેક્શન ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પેટ્રોલ પંપ સંચાલકોને દૈનિક રિપોર્ટ મોકલવાની ફરજિયાત સુચના આપવામાં આવી હતી, જેથી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા પર સતત નજર રાખી શકાય. આ ઉપરાંત, કેરોસીનના વિતરણ માટે માત્ર IOCL પેટ્રોલ પંપોને અધિકૃત કરવામાં આવ્યા છે. તમામ તાલુકાના મામલતદારો પાસેથી કેરોસીનની માંગ અંગે માહિતી મેળવી જરૂરીયાત મુજબ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ, સિટી ગેસ પ્રોજેક્ટ અંતર્ગત રોજ કેટલા નવા કનેક્શન આપવામાં આવે છે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ જિલ્લામાં કોઈ પણ પ્રકારની અફવા ફેલાય નહીં તે માટે ખાસ સૂચના આપી હતી. જો કોઈ સ્થળે અફવાઓના કારણે પેટ્રોલ પંપ અથવા ગેસ એજન્સીઓ પર અનાવશ્યક ભીડ કે લાઈનો ઉભી થાય તો તાત્કાલિક પ્રશાસનને જાણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં આવશ્યક ઈંધણ અને ગેસ પુરવઠાની સુવ્યવસ્થા જાળવી રાખી, નાગરિકોને સરળ અને સમયસર સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

૦૦૦

Share This Article