મંત્રી પુત્રો સહિત ત્રણને મળ્યા જામીન,ત્રણ ફરિયાદોમાં 20 લોકોની ધરપકડ,કુલ 6 ને જામીન મળતા જેલમુક્ત થયાં. દાહોદ મનરેગા કૌભાંડ:બંને મંત્રી પુત્રોને સેશન્સ કોર્ટે જામીન આપતા દોઢ મહિને જેલમુક્ત થયાં

Editor Dahod Live
5 Min Read

#DahodLive#

મંત્રી પુત્રો સહિત ત્રણને મળ્યા જામીન,ત્રણ ફરિયાદોમાં 20 લોકોની ધરપકડ,કુલ 6 ને જામીન મળતા જેલમુક્ત થયાં.

દાહોદ મનરેગા કૌભાંડ:બંને મંત્રી પુત્રોને સેશન્સ કોર્ટે જામીન આપતા દોઢ મહિને જેલમુક્ત થયાં

10 જુદી જુદી ટીમોના 3000 કામોની સ્થળ તપાસવી માટે દેવગઢ બારીયા અને ધાનપુરના ગામોમાં ધામા.

દાહોદ તા. 08

દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં આખરે બંને મંત્રી પુત્રો તેમજ એક સરકારી કર્મચારીના જામીન મંજુર થતા ત્રણેય સાંજે જેલ મુક્ત થયા છે.કોર્ટે સરકારી કર્મચારી તેમજ બંને ભાઈઓને શરતોને આધીન જામીન આપ્યા છે. નોંધનીય બાબત છે કે અગાઉ 71 કરોડના મનરેગા કૌભાંડમાં તેઓના જામીન થયાં હતા. જેમા પોલીસે સેશન્સ ના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા અત્યારે હાઇકોર્ટમાં સુનવણી પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં નોંધાયેલી ત્રણ જુદી જુદી ફરિયાદોમાં બંને ભાઈઓ માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપોરાઇટર હતા. અને ઉપરોક્ત કામોમાં તેઓની એજન્સી મારફતે મનરેગાના કામોમાં માલ સપ્લાય કર્યા વગર બારોબાર બિલ પાસ કરાવી દીધા હોવાના આરોપ લાગ્યા છે. આ સાથે જેલવાસો ભોગવી રહેલા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરની આ કૌભાંડમાં ધરપકડ બાદ જામીન મળતા જેલમાંથી છુટકારો થયો છે.

 દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ પ્રકરણમાં ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ થઈ હતી. જેમાં પ્રથમ ફરિયાદમાં 71 કરોડના કામોમાં ગેરરીતી સામે આવતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક દ્વારા ફરિયાદ દાખલ કરાવતા પોલીસે 35 જેટલી માલ સપ્લાય કરનાર એજન્સીઓ સામે ગુના દાખલ કર્યા હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને પુત્ર બળવંત ખાબડની કંપની શ્રી રાજ કન્ટ્રક્શન કુ. પીપેરોએ 9 કરોડના કામો કર્યા હતા. તો કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સે 22 કરોડના કામ કર્યા હતા. આ કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી બિલો પાસ કરાવી સરકાર જોડે છેતરપિંડી કરી હતી. આ પ્રકરણમાં બંને ભાઈઓની સાથે અન્ય બે પ્રોપરાઇટર તેમજ સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ભાઈઓને જામીન મળતા પોલીસે વધુ બે ફરિયાદો દાખલ કરી હતી. જેમાં દેવગઢ બારીયાના લવારીયામાં 21 કામો કાગળ ઉપર બતાવી 18.41 લાખનો કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ બીજા દિવસે ધાનપુર તાલુકાના ભાણપુરમાં થયેલા 49 લાખના કામોમાં 11 કામો કાગળ ઉપર બતાવી બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપેરોએ 33 લાખ રૂપિયા ના બિલ પાસ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. આમ ત્રણ જુદી જુદી ફરિયાદોમાં છેલ્લા દોઢ એક મહિનાથી બંને ભાઈઓ જેલમાં હતા. તેઓએ જામીન અરજી માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ સેશન્સ કોર્ટમાં જામીન મુકતા સેશન્સ કોર્ટે બંને ભાઈઓને શરતી જામીન આપતા બંને ભાઈઓ છેલ્લા દોઢ એક મહિના બાદ પુનઃ જેલ મુક્ત થયા છે.

*સેશન્સ કોર્ટે બન્ને ભાઈઓને શરતી જામીન આપ્યા.*

 બંને ભાઈઓ મનરેગા કૌભાંડમાં આરોપી છે. હજી પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવી નથી.બન્ને ભાઈઓ મંત્રી પુત્ર હોવાથી તપાસને અસર પાડી શકે તેવી દલીલો પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેના ભાગરૂપે કોર્ટે બંને ભાઈઓને સરતી જામીન આપ્યા છે જેમાં પોલીસ આ કેસમાં જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લા બહાર રહેશે. બંનેના પાસપોર્ટ જમા લેવામાં આવશે. એટલું જ નહીં કોર્ટની તારીખો પર બંને ભાઈઓને ફરજિયાત હાજર રહેવું પડશે.

*71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસની હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ છે.*

 71 કરોડના મનરેગા કૌભાંડમાં શરૂઆતમાં ચીફ કોર્ટે બંને ભાઈઓને જામીન આપતા પોલીસે જામીન સામે સ્ટેની માંગણી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે કોલ કે તેનો ચુકાદો યથાવત રાખતા બંને ભાઈઓને જામીન મળ્યા હતા. ત્યારબાદ પોલીસે જામીન અરજી રદ કરવા માટે સેશન્સમાં અરજી કરી હતી. ત્યાં પણ સેશન્સ કોર્ટે પોલીસની અરજી ફગાવી દીધી હતી. જે બાદ પોલીસે આ મામલે હાઇકોર્ટમાં જામીન અરજી રદ કરવા માટે દાદ માંગી છે જેમાં હાલ સુનવણી પેન્ડિંગ છે.

*ત્રણ ફરિયાદોમાં અત્યાર સુધીમાં 14 પ્રોપરાઇટર મળી 20 ની ધરપકડ થઇ,*

 મનરેગા કૌભાંડ માં અત્યાર સુધીમાં કુલ ત્રણ ફરિયાદો થઈ છે. જેમા અત્યાર સુધીમાં બાર જેટલા સરકારી અધિકારી કર્મચારીઓની ધરપકડ થઈ ચુકી છે.જેમા ત્રણ કર્મચારીઓની જામીન મંજુર થતા તેઓ જેલ મુક્ત થયા છે. આ સિવાય મંત્રી પુત્રો સહિત ચાર પ્રોપોરાઇટરો ની ધરપકડ કરાય છે. જ્યારે 31 જેટલી એજન્સીઓને સામે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

*71 કરોડના કૌભાંડમાં આસિ. પ્રોગ્રામ ઓફિસરને મળ્યા જામીન.*

 મનરેગા કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા ધાનપુર તાલુકા પંચાયતના તત્કાલીન આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર (APO) ભાવેશ રાઠોડને પણ કોર્ટે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ કૌભાંડની 24 એપ્રિલના રોજ થયેલી 71 કરોડના કૌભાંડવાળી ફરિયાદના આધારે થયેલી તપાસમાં ભાવેશ રાઠોડની સંડોવણી સામે આવતા મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જામીન માટે અરજી કરતાં કોર્ટે સુનાવણીના અંતે ભાવેશના પણ શરતી જામીન મંજુર કર્યા હતાં.

Share This Article