
રાજેશ વસાવે :- દાહોદ
*ભારત સરકારના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જન જાતિના અધ્યક્ષશ્રી અંતર સિંઘ આર્ય દાહોદની મુલાકાતે*
*રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા દાહોદ જિલ્લામાં થયેલ વિકાસના કામો અંગેની ચર્ચા કરવામાં આવી*
દાહોદ તા. ૫
ભારત સરકારના રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિના અધ્યક્ષ શ્રી અંતર સિંઘ આર્ય એ દાહોદ ની મુલાકાતે આવતા જ બેઠક યોજી હતી. જેમાં અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય આયોગ દ્વારા દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓથી વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ દરમ્યાન શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન જેવા મહત્વના વિષયો અંગેની માહિતી રજૂ કરવામાં આવી હતી. શિક્ષણમાં એકલવ્ય મોડલ સ્કૂલ આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, સરકારી શાળાઓની હાલની પરિસ્થિતિ અને ભણતા બાળકોની સંખ્યાત્મક માહિતી રજૂ કરવામાં આવી હતી.
એ સાથે પશુપાલન કરતા લોકોની સંખ્યાત્મક માહિતી સહિત આદિ આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ધરતી આંબા યોજના જેવી યોજનાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા પણ આયોગને આદિવાસીઓના હિત માટેના જરૂરી મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે આદિવાસી સમાજની જીવનશૈલી, રીતી રિવાજ, પરંપરા, અને તેમના લગ્નના રિવાજો માન્ય રાખવા માટેની માંગણી કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં સરકારી કોલેજો, સ્પોર્ટ સંકુલ અને હોસ્ટેલની સુવિધામાં વધારો કરવા માટે આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં સિકલ સેલના વધતા પ્રમાણને અટકાવવા માટે એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવે અને સિકલસેલને અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે તેવી આયોગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી
આ બેઠકમાં સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્રસિંહ મિણા, ખેતીવાડી વિભાગના અધિકારીશ્રી, અનુસૂચિત જનજાતિના અધિકારીશ્રી, ધારાસભ્યશ્રીઓ, આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
000