
દેવગઢ બારીઆની ધો.10ની પરીક્ષામાં વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો: એસ.સી. મોદી હાઈસ્કૂલમાં છેલ્લી 20 મિનિટ પહેલા બની ઘટના, DEO હોસ્પિટલ દોડી ગયા..
જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ મદદ કરવા ખાતરી આપી, બાળકની હાલત સુધારા પર…
દાહોદ તા.10
દેવગઢ બારીયા ની હાઈસ્કૂલમાં ધોરણ 10 એસ.એસ.સી ની છેલ્લી પરીક્ષા દરમિયાન એક પરીક્ષાર્થીને હૃદય રોગનો હુમલો આવતા વિદ્યાર્થી વર્ગખંડમાં જ લથડી પડ્યો હતો. જોકે શાળામાં હાજર શિક્ષકોએ તાબડતોડ આ વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડી દીધો હતો જેના પગલે સમયસર સારવાર મળતા આ વિદ્યાર્થીનો જીવ બચી ગયો હતો. દસમાં બોર્ડની આજે છેલ્લી પરીક્ષા હતી અને પેપર પૂર્ણ થવાના 20 મિનિટ બાકી હતા તે દરમિયાન આ ઘટના બનતા શિક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.
દાહોદના દેવગઢ બારીઆની એસ.સી. મોદી હાઈસ્કૂલ કુવા યુનિટ-1માં ધોરણ 10ની પરીક્ષાના અંતિમ દિવસે એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. જેમાં પરીક્ષા પૂર્ણ થવામાં માત્ર 20 મિનિટ બાકી હતી, ત્યારે વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જોકે, તેને સમયસર સારવાર મળી ગઈ હતી. જેથી તે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી અને ઝોનના ઈન્ચાર્જને કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામા તરત જ દેવગઢ બારીઆ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીની તબિયતની ખબર અંતર પૂછી અને તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી.જોકે હોસ્પિટલમાં સારવાર રહી રહેલા વિદ્યાર્થી એ જિલ્લા શિક્ષણ અધિકારીની કાળજી અને સેવાભાવની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આવા નિષ્ઠાવાન અને પરોપકારી અધિકારી મળ્યા તે બદલ દાહોદ જિલ્લો નસીબદાર છે. જોકે હાલ બાળકની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલના તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.