દાહોદનું સતત બીજા વર્ષે સૌથી નીચુ પરિણામ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 29.44 ટકા પરિણામ, ગત વર્ષ કરતા પણ 10.75 %જેટલું નીચું, 1868માંથી 1332 પરીક્ષાર્થી નાપાસ…
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં દાહોદ જિલ્લાનું પરિણામ અત્યંત નિરાશાજનક રહ્યુ છે. કારણ કે, સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લાનું સાોથી ઓછુ 29.44 ટકા જેટલું નીચુ પરિણામ જાહેર થયું છે. સતત બીજા વર્ષે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી નીચુ આવ્યું છે. ગત વર્ષે 40.19 ટકા પરિણામ આવ્યું હતું આ વખતે તેના કરતા પણ 10.75% ઓછું પરિણામ આવ્યું છે. જેને લઈ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણ આલમમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.ત્યારે દાહોદ જિલ્લામાં આ વખતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જિલ્લાને નિરાશા સાંપડી છે અને તેના કારણો શોધવા જ રહ્યા. જિલ્લામાં આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1882 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1868 પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી માત્ર 536 વિદ્યાર્થી જ પરીક્ષામાં પાસ થયા છે જ્યારે તેના બમણાં કરતા પણ વધારે 1332 પરીક્ષાર્થી નાપાસ જાહેર થયા છે. આમ શિક્ષણનું સ્તર કથળી રહ્યુ છે તેમ કહી શકાય છે.
*એ1 ગ્રેડ એક પણ વિદ્યાર્થી મેળવી શકવા સક્ષમ ન બની શક્યો*
દાહોદ જિલ્લામાંથી આ વખતે એ1 ગ્રેડ એક પણ વિદ્યાર્થી મેળવી શક્યો નથી જ્યારે એ2 માં માત્ર 7 વિદ્યાર્થીઓ આવ્યાં છે. બી 1માં 52, બી 2માં 52, સી1માં 118, સી 2માં 224, ડી માં 118 અને ઇ1 માં 2 પીક્ષાર્થીઓ નોંધાયા છે. આમ ગ્રેડ પ્રમાણે જોતા ઘણાં ઓછા પરિક્ષાર્થી સારા ગુણ કે ટકા સાથે ઉત્તિર્ણ થયા છે તેમ લાગી રહ્યુ છે.
*દાહોદ જિલ્લામાં શિક્ષણ સ્તર સતત કથળી રહ્યુ છે*
દાહોદ જિલ્લાનું શિક્ષણ સ્તર સતત કથળી રહ્યુ છે. વિજ્ઞાન પ્રવાહમાં તો સ્થિતિ સુધારવાને બદલે બગડી રહી છે કારણ કે ગત વર્ષે જિલ્લાનું 40.19 ટકા સાથે રાજ્યના તમામ જિલલાઓમા છેલ્લા નંબરે રહ્યો હતો ત્યારે આ વર્ષે તો શિક્ષણ સ્તર બદથી બદતર થઈ ગયુ છે. આ વર્ષે પણ જિલ્લાનું પરિણામ માત્ર 29.44% જ આવી શક્યુ છે જે ગત વર્ષ કરતા 10.75 %જેટલું નીચુ છે. આમ દર વર્ષે શિક્ષણની કથળી રહેલી સ્થિતિ જિલ્લાના શિક્ષણ સુધારણા કાર્યક્રમોની સફળતાની પારાશીશી બતાવી રહ્યા છે.
*ધોરણ 12નો તબક્કો વિદ્યાર્થીની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ*
ધોરણ 12 તે કોઇ પણ વિદ્યાર્થી માટે તેના ભવિષ્ય ઘડતરનો ટર્નિંગ પોઇન્ટ ગણાય છે કારણ કે આ તબક્કે વિદ્યાર્થીએ પસંદ કરેલો અભ્યાક્રમ તેની આગળની કારકિર્દી નક્કી કરે છે. જેથી ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ જે તે પ્રવાહ પસંદ કરી આગળ વધતા હોય છે. શિક્ષકો પણ આ વખતે વિશેષ ધ્યાન આપે છે. આ પાયા પર જ આગળની ઇમારત ઉભી થવાની છે. તેમાંયે વિજ્ઞાન પ્રવાહનું વળગણ એટલું વધી ગયુ છે કે પોતાના બાળકને ડોક્ટર કે એન્જીનીયર બનાવવા રીતસરની આંધળી દોટ મુકવામાં આવે છે. પરિણામે લાખોના ખર્ચે કોચીંગ ક્લાસની હાટડીઓમાં જાણે કે બાળકોને મજૂરી કરવા મોકલી આપવાનો અક રિવાજ બની ગયો છે. તેના માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી ક્વોલીફાય થવુ જરુરી છે ત્યારે તેમાં પ્રવેશ માટે પણ ડોનેશન આપવા પણ માવતરો તૈયાર જ બેઠા હોય છે.
