દાહોદમાં આજે વેસ્ટર્ન રેલવે એપ્લોઇઝ યુનિયનનું 102મું વાર્ષિક અધિવેશન યોજાયુ
OPS મામલે પાંચ લાખ લોકોનો ભેગા કરીને સંસદનો ઘેરાવ કરીશુ : શિવગોપાલ મિશ્રા
પશ્ચિમ રેલવેના વિવિધ ડિવિઝનમાંથી સંખ્યાબંધ કર્મચારી હાજર રહ્યા: રેલવેના ખાનગીકરણ,OPS, ભરતી, સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઇ
દાહોદ.તા.28
દાહોદ શહેરના સિનિયર રેલવે ઇન્સ્ટીટ્યૂટમાં 27મી તારીખે વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન(WREU)નું 102માં વાર્ષિક સમ્મેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમેલનમાં ઓલ ઇન્ડીયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF)ના મહામંત્રી અને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીયોના સંયુક્ત સલાહકાર તંત્રના સ્ટાફ સાઇડના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ રેલવેના ખાનગીકરણ, ઓલ્ડપેન્શન, ભરતી તેમજ કર્મચારીઓના હિત મુદ્દે અક્રમકતા બતાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રેલવેના પ્રતિષ્ઠાન, શેડ, સહિતના કોઇ પણ ભાગને વેચવાનું કામ કરાશે તો અમે સરકાર સાથે બે બે હાથ કરીશું. ઓલ્ડ પેન્શન યોજના વીશે તેમણે જણાવ્યુ હતુ કે, આ મુદ્દે 21 જાન્યુઆરીએ સંમેલન રાખવામાં આવ્યુ છે. વર્ષ 2023માં આ લડાઇને ગામેગામ લઇજઇશું. સંઘર્ષ સમીતી બનાવીશુ. આગામી છ માસમાં દરેક રાજ્ય અને કેન્દ્ર સરકારના દરેક વિભાગના પાંચ લાખ લોકોને ભેગા કરીને સાંસદનો ઘેરાવ કરીશું. સરકારે અમારૂ 18 માસનું ડીએ પણ જપ્ત કરી રાખ્યુ છે. તેની પણ ડિમાન્ડ કરવામાં આવી છે. અમે એવું ઇચ્છતા નથી પરંતુ ઓપીએસ લાગુ નહીં થાય તો ભારત બંધ પણ થશે અને ટ્રેનો પણ રોકાશે.દાહોદમાં મોર્ડન કારખાનુ બની રહ્યુ છે પણ અહીં બે હજારથી વધુની રેગ્યુલર ભરતી નહીં થાય. પશ્ચિમ રેલવેના વિવિધ મંડળમાંથી આવેલા કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. વર્કિંગ કમીટીની મીટીંગ સાથે અધિવેશનમાં કર્મચારીઓના હિતની વાત કરવામાં આવી હતી. આ અધિવેશનમાં યુનિયનના જયપુરના મહામંત્રી મુકેશ માથુર અને પશ્ચિમ રેલવે મુંબઇના મુખ્ય કર્મિક અધિકારી સુરેન્દ્રકુમાર સહિતના અનેક અગ્રણીઓ સાથે એક હજારથી વધુ સંખ્યામાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન સાથે જોડાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.