ગરબાડા:ભીલવાનો યુવક કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:અત્યાર સુધીમાં ત્રીજા દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઇ

Editor Dahod Live
3 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકાના ભીલવાનો યુવક કોરોનાથી મુક્ત થવા બદલ રજા અપાઈ,  અત્યાર સુધીમાં ત્રીજા દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઇ,ઘનિષ્ઠ સારવાર બાદ કોરોનામાંથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી વિદાય આપતી વેળાએ દર્દી ઉપર પુષ્પવર્ષા

ગરબાડા તા.01

દાહોદમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ ચાર કેસ પૈકી ત્રણ દર્દીઓ સાજા થઇ ગયા, હવે માત્ર એક જ દર્દી સારવાર હેઠળ

દાહોદ જિલ્લો કોરોના દર્દીથી મુક્ત થવા ભણી આગળ વધી રહ્યો છે. કોરોના વાયરસને પરાસ્ત કરી સાજા થયેલા વધુ એક દર્દીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘનિષ્ઠ સારવાર બાદ કોરોનામાંથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી વિદાય આપતી વેળાએ આ દર્દી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તાળીઓથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગરબાડા તાલુકાના ભીલવા ગામના ૨૭ વર્ષીય લાલજીભાઇ બારિયાને તેમના રાજસ્થાનના પ્રવાસ દરમિયાન કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા થયેલી તપાસમાં ધ્યાને આવ્યું હતું. તાવ અને શરદી થવાના કારણે તેમણે સર્વ પ્રથમ દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાવવાના કારણે તેના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અહીની સિવિલ હોસ્પિટલમાં તા. ૧૩-૦૪-૨૦૨૦ના રોજ દાખલ કરાયા હતા.
લાલજીભાઇને ૧૮ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રણ વખત ઓક્સિઝન ઉપર રાખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમે તેમની સારવાર કરી હતી. કોરોનાગ્રસ્ત દર્દીને હાઇડ્રોક્સીક્લોક્વિન, એઝીથ્રોમાઇસીન સહિતની દવાઓ આપવામાં આવી હતી. બાદમાં તેમની તબીયત સુધારા ઉપર આવતા ફરીથી કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમણે પોષક આહાર, નાસ્તા, લિંબુ સરબત સહિતનું ડાયેટ આપવામાં આવતું હતું.
સિવિલ હોસ્પિટલ ખાતેથી લાલજીભાઇને રજા આપવામાં આવતા કલેક્ટર શ્રી વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા સહિતના અધિકારીઓએ તેમની ખબરઅંતર પૂછ્યા હતા અને કોરોનાને પરાસ્ત કરવા બદલ તાળીઓથી અભિવાદન કર્યું હતું.
આરોગ્ય કર્મચારીઓએ તેમના પર ફૂલોની વર્ષ કરીને વિદાય આપી. એમ્બ્યુલન્સમાં બેસાડીને લાલજીભાઇને તેમના ગામ ભીલવા લઇ જવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાના આ ત્રીજા દર્દી કોરોનાથી મુક્ત થઇ ગયા છે. હવે, માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે. સરકારી તંત્રના તનતોડ મહેનતથી દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ વધુ ફેલાતો અટક્યો તો છે જ, સાથે કોરોનાથી મુક્ત થવા જઇ રહ્યો છે.

Share This Article