દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક યુવકે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપ્યાં બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા આ આઘાત સહન ન કરી શકનારી યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં યુવતીના પિતાએ યુવક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાંનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગુરૂકુળ સોસાયટીમાં રહેતાં અજયભાઈ કિશનભાઈ કિશોરીએ લીમખેડા નગરમાં શાસ્ત્રી ચોક ખાતે રહેતી એક ૩૪ વર્ષીય લતાબેનને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને લગ્ન કરવા સારૂ પ્રેમ સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ અજયે લતાબેન સાથે લગ્ન કરવાની ના પાડી દઈ બીજી અન્ય યુવતી સાથે લગ્ન કરવાના છે તેમ કહી અને લતાબેનને ન સંભળાય તેવા શબ્દો બોલ્યાં હતાં. આ આઘાત સહન ન કરી શકનાર લતાબેને ગત તા.૧૬મી એપ્રિલના રોજ પોતાના ઘરે લીમખેડાના શાસ્ત્રીચોક ખાતે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લેતાં આ સંબંધે લતાબેનના પિતા નારાયણસિંહ બાપુસિંહ સોનીયારે લીમખેડા પોલીસ મથકે અજયભાઈ કિશનભાઈ કિશોરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.