ઝાલોદ:બહુચર્ચિત હિરેન પટેલ હત્યાકાંડના આરોપીની દુકાનના બાકી નીકળતી રકમ એક સપ્તાહમાં ચૂકતે કરવા નગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ

Editor Dahod Live
2 Min Read

 દાહોદ લાઈવ ડેસ્ક..

હિરેન પટેલ હત્યાકાંડના આરોપી અજય કલાલને પાલિકાએ નોટિસ પાઠવી,અજય કલાલ સહિત રાહુલ જોધા રાઠોડને દુકાન પેટેના બાકી નીકળતા ૩૫ લાખ ૨૧ હજાર ભરવા એક સપ્તાહમાં ભરવા તાકીદ કરવામાં આવી.

ઝાલોદ તા.02

ઝાલોદ નગર પાલિકા કાઉન્સિલર હિરેન પટેલ ના હત્યાકાંડ નું કોકડું હજુય ગૂંચવાયેલું છે. અને મુખ્ય આરોપીઓ પણ હજી પોલીસ પકડ થી દુર છે. જેથી આ કેસ હાલ તો ઠંડી ના માહોલ માં ઠંડો પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે.

પોલીસ વોન્ટેડ આરોપી નું પગેરું મેળવવા છેલ્લા પંદર દિવસ થી ધમપછાડા કરી રહી છે. પરંતુ વોન્ટેડ આરોપી ઇમરાન ગુડાલા હજીય પોલીસ પકડ થી દુર છે. ત્યારે આ હત્યાકાંડ માં સામેલ અજય કલાલ ને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
આ નોટીસ પેટ્રોલ પંપ ની પાછળ આવેલી દુકાન નંબર ૨ ને લઈને આપવામાં આવી છે. જેમાં આ દુકાન લેવામાં પાલિકાની વિવિધ સરતો ભંગ કરી અને પાલિકા માં ખોટા બીલો રજૂ કરી અને આ બીલો ની અવેજ માં નાણાં જમાં કરવામાં આવ્યા હતા. જેમાં આ દુકાન ની હરાજી માં રાહુલ જોધા રાઠોડ ને ફાળે રહી હતી અને પૈસા જમાં કરાવતી વખતે આ દુકાન અજય કલાલ ના નામે કરી દેવામાં આવી હતી. જેને લઇને પૈસા ભરવા થી લઈને દુકાન ની માલિકી ફેરબદલ સુધી માં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો મુદ્દો હિરેન પટેલ દ્વારા પાલિકા ની સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. અને તેના ૨૦ દિવસ બાદ જ તેઓની હત્યા કરવામાં આવી હતી.

ત્યારે પાલિકા દ્વારા આ દુકાન માં હરાજીમાં આખરી બોલી બોલેલા રાહુલ જોધા રાઠોડ તથા અજય કલાલ એમ બંને ને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં માત્ર બે લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ પાલિકા ની સરતો નો ભંગ કરી અને બાકીના નાણાં સાટા પદ્ધતિ થી જમાં કરી છે. જે પધ્ધતિ અસ્તિત્વ માં નથી તેનો ઉપયોગ કરેલ હોવાનું કહેવામાં આવેલ છે. તો સાથે સાથે બાકી નીકળતા નાણાં દિન ૭ માં ભરી જવા અને નહિ ભરાય તો દુકાન નો કબ્જો પરત લઈ અને આ બંને ઈસમો વિરુદ્ધ નગર પાલિકા જેવી જાહેર સંસ્થા સાથે નાણાકીય ઉચાપત તથા છેતરપિંડી ની પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું નોટિસ માં જણાવવામાં આવ્યું હતું.

Share This Article