
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે તથા પંચમહાલ જિલ્લાના ગોધરામાં લોન આપવાના બહાને પંચમહાલ અને દાહોદ જિલ્લાના કેટલાક લોકોને વિશ્વાસમાં લઈ લોન મંજુર થઈ ગઈ હોવાનું કહી જુદા જુદા ચાર્જ રાખી કુલ રૂા.૬,૮૪,૦૦૦ પડાવી લેતાં બાદમાં લોન નહીં આપતા પોતે ઠગાયા હોવાનું અને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં અરજદારો દ્વારા દાહોદ તથા પંચમહાલ જિલ્લા પોલીસ મથકે પહોંચી દાહોદ અને પંચમહાલના કુલ ૬ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
અલ્પેશભાઈ દલસીંગભાઈ વસુનીયા (રહે.ખાતરપુરના મુવાડા, તા.ફતેપુરા,જિ.દાહોદ), નિતેશકુમાર ચીમનભાઈ વાળંદ (રહે. ધારાપુર, સોલંકી ફળિયું, તા.શહેરા, જિ.પંચમહાલ), પ્રતિપાલસિંહ મદનસિંહ સોલંકી (રહે. ફતેપુરા), ચંદ્રકાંન્તકુમાર રમેશભાઈ બામણીયા (રહે.તાડવા, વણકર ફળિયું, તા.શહેરા, જિ.પંચમહાલ), આરીફ સૈયદ અને સંતોષ તાવિયાડ વિગેરેનાઓએ એકબીજાના મેળાપીપણમાં દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રહેતા ગરીબ, મધ્યમવર્ગીય લોકોને પોતાની જાળમાં ફસાવી, પટાવી ફોસલાવી, લોનની લાલચ આપી હતી. અરજદારનો મોબાઈલ ફોન ઉપર મેસેજ કરી, તમારી લોન મંજુર થઈ ગયેલ છે, તેમ જણાવી લોન પાસ કરાવવા જુદા જુદા ચાર્જ રાખી કુલ રૂા.૬,૮૪,૦૦૦ અરજદારો પાસેથી પડાવી લીધા હતા. થોડા સમય સુધી લોનના નાણાં ન આવતાં અને ઓફિસ, ઘર વિગેરેની તપાસ કરતાં ઉપરોક્ત ૬ જણા નહીં મળતા અને પોતે ઠગાયા હોવાનું અરજદારોને પ્રતિત થયું હતું અને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી આ લોકોએ પોતાના ખિસ્સા ભરી લીધા હોવાનું જણાઈ આવતાં આ મામલે આ પૈકી ઠગાઈનો ભોગ બનેલ બચુભાઈ ફતાભાઈ મછાર (રહે. માનાવાળા, બોરીદા, નિશાળ ફળિયું, તા.ફતેપુરા,જિ.દાહોદ) દ્વારા ઉપરોક્ત ૬ ઈસમો વિરૂધ્ધ દાહોદ જિલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–