દે.બારીઆના કાળીડુંગરી ગામે સગીર વયના પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read
  • જીગ્નેશ બારીયા, દાહોદ,મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે પ્રેમી પંખીડા કહેવાતા સગીરા અને યુવકે ગળે ફાંસો આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે એક ૧૬ વર્ષીય સગીરા તથા એક ૨૦ વર્ષીય યુવકે અગમ્યકારણોસર ગામમાં આવેલ એક ઝાડ ઉપર એક ઓઢણી બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું છે.

દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે ગત તા.9 મી ઓગષ્ટની વહેલી સવારે ચકચારી બનાવ સામે આવ્યો છે.જેમાં કાળીડુંગરી ગામે જ રહેતી એક ૧૬ વર્ષીય ધર્મિષ્ઠાબેન રણજીતભાઈ પટેલ તથા એક ૨૦ વર્ષીય વિક્રમભાઈ નરવતભાઈ પટેલ એમ બંન્ને જણાએ ગામમાં આવેલ એક લીમડાના ઝાડ ઉપર ઓઢણી બાંધી બંન્નેએ અગમ્યકારણોસર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ બંન્નેના પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં તમામના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં નજીકની પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બંન્નેના લટકતા મૃતદેહનોને નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડી દેવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પર પરિવારજનોનો આક્રંદનો માહોલ જાેવા મળ્યો હતો. આ બંન્નેએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે વિષયનું હાલ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે. ત્યારે સમગ્ર હકીકત શું તે તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.

આ સંબંધે સગીરાના કાકા હસમુખભાઈ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે આ મામલે જાણ કરતાં પોલીસે પ્રાથમીક તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તપાસનો ધમધમાટ શરૂં કર્યાે છે.

Share This Article