દાહોદના વતની ભાવિન દેસાઈ ને આદિત્ય બિરલા કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડથી સમ્માનિત કરાયા..
દાહોદ તા.16
આદિત્ય બિરલા કંપની, પનવેલ (મુંબઈ)માં સાયન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા નવી મુંબઈ, ખારઘર સ્થિત મૂળ દાહોદના ભાવિન દેસાઈને બિરલા કંપનીમાં સતત ૧૪ વર્ષ કરેલ ઉમદા કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

૨૦૦૧ માં ચેન્નઈ IIT ખાતેથી M.Tech ના અભ્યાસક્રમનો અઘરો ટાસ્ક સફળતાથી પાર પાડ્યા બાદ વિવિધ સ્થળોએ નોકરી અંતર્ગત ફરજ બજાવતા છેલ્લા ૧૪ વર્ષથી મુંબઈ ખાતે આદિત્ય બિરલા સાયન્સ એન્ડ ટેકનોલોજી કાું. પ્રા.લિ.માં ‘લીડ સાયન્ટીસ્ટ કોપર રિસર્ચ ડોમેઇન લીડર’ તરીકેના ઉચ્ચ સ્થાને ફરજ બજાવતા ભાવિન સુરેન્દ્રભાઈ દેસાઈએ ૨૦૧૯ માં મુંબઈ પવઈ IIT થી મેટર્લજી વિષય સાથે PhD (ડોક્ટરેટ)ની સિદ્ધિ મેળવી હતી. અગાઉ ડૉ. ભાવિન દેસાઈને આદિત્ય બિરલા ગ્રુપ તરફથી સતત ચાર વર્ષ શ્રેષ્ઠતા કાજેનો એવોર્ડ પ્રાપ્ત થવા સાથે તાજેતરમાં નાગપુર ખાતે યોજાયેલ ૨૬ મી “ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નોનફેરસ મેટલ” નામે મલ્ટીનેશનલ કંપનીઓના આંતરરાષ્ટ્રીય કક્ષાના સમારંભમાં ડૉ. ભાવિન દેસાઈને રિસર્ચ ક્ષેત્રનો ઉચ્ચત્તમ ગણાતો ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્સેલન્સ એવોર્ડ’ એનાયત થયો છે.
