પાઇપલાઈનના જોડાણના લીધે પાણી કાપનો સામનો કરી રહેલા દાહોદવાસીઓ માટે માઠા સમાચાર:ટેક્નિકલ ખામીના લીધે આગામી બે દિવસ પાણી કાપ વેઠવાના એધાંણ..!!

Editor Dahod Live
6 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

નવીન પાઇપલાઈનના જોડાણના લીધે પાણી કાપનો સામનો કરી રહેલા દાહોદવાસીઓ માટે માઠા સમાચાર:ટેક્નિકલ ખામીના લીધે આગામી 24 થી 36 કલાક સુધી પાણીકાપ વેઠવાના એધાંણ…

 પાટાડુંગરી થી દાહોદ સુધી નવી લખાયેલી પાણીની પાઇપલાઇનના જોડાણ બાદ ટેકનિકલ ખામી સર્જાઈ..

 આગામી હોળીની તહેવાર તેમજ ઉનાળાને ધ્યાને લઇ નગરપાલિકાએ ગંભીરતા દાખવી આપાતકાલિન બેઠક બોલાવી

નગરપાલિકાના સભ્યો, સ્માર્ટ સિટી  પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ, નગરપાલિકાના અધિકારીઓ,  તેમજ પત્રકારો વચ્ચે યોજાયેલી આપાતકાલિન બેઠકમાં આગામી બે દિવસમાં પાણી નો સપ્લાય પૂર્વવત કરવા સહમતી બંધાઈ 

 પાણીની પાઈપલાઈનમાંથી, ઈલેક્ટ્રીક વજન કાંટો, ૧૫થી ૨૦ જેટલા કંથાન, શાકભાજીનું કન્ટેનર  તેમજ ગાદલા તેમજ પાથરણાં નીકળતા નગર પાલિકા સહિતના કર્મચારીઓ ચોંકી ઊઠ્યા..

 

 

નવિન પાઈપ લાઈનમાં સપ્લાય દરમિયાન માત્ર ૨૫ ટકા પાણી ટાંકી સુધી પહોંચ્યું: બાકીનો ૭૫ ટકા પાણી બેક જતા સમગ્ર મામલો સામે આવ્યો…

 પાલિકા દ્વારા સત્વરે કામ કરવા બહારના જિલ્લામાંથી તજજ્ઞોની ટીમ બોલાવી..

દાહોદ તા.15

દાહોદ નગરપાલિકા દ્વારા બે દિવસનું શટ ડાઉન લઇ પાટાડુંગરીથી દાહોદ સુધીની નવી પાઇપલાઇનના જોડાણ બાદ પાણી પુરવઠો શરૂ કરાતા સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે શટડાઉનના દરમિયાન પાણીકાપનો સામનો કરી રહેલા દાહોદ વાસીઓને આગામી 24 થી 36 કલાક સુધી પાણીનો કાપ વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે આગામી હોળીના તહેવાર તેમજ ભર ઉનાળે પાણીની સમસ્યા ન સર્જાય તેં માટે સમગ્ર મામલાને દાહોદ નગરપાલિકાએ ગંભીરતાથી લઇ આપાતકાલીન મિટિંગ બોલાવી હતી. જેમાં પાલિકાના સભ્યો,નગરપાલિકાના અધિકારીઓ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કામ કરતા એજન્સી, તેમજ દાહોદના પત્રકારો સાથે તમામ મુદ્દે ચર્ચા કર્યા બાદ ટેકનીકલ ખામીને દૂર કરવા જિલ્લા બહારથી તજજ્ઞોની ટીમ બોલાવી આગામી બે દિવસમાં ટેકનીકલ ખામીને દૂર કરી દાહોદ વાસીઓને પાણી પૂરવઠો રાબેતા મુજબ શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે જોતરાઈ ગયા હતા.

 

દાહોદ શહેરમાં છેલ્લા અઢી વર્ષથી સ્માર્ટ સીટી અંતર્ગત પાટા ડુંગરીથી દાહોદ નવી પાઇપ લાઈન નાખવામી કામગીરી પૂર્ણતાના આરે હોઈ આ નવીન પાણીની પાઇપ લાઈનથી દાહોદના સેન્ટ્રલ વોટર વર્ક્સ સુધી 100 ટાકા પાણીનો પૂર્ણ સપ્લાય મળી રહે અને દાહોદવાસીઓની પાણીની સમસ્યા દૂર થાય તેં માટે પૂર્ણ થયેલી પાઇપ લાઈનની કામગીરીને જુના ગામતળ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી નો સપ્લાય મળી રહે તેં માટે નવીન 12 લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી નું લોકાર્પણ પણ કરવાનું આયોજન કરાયું હતું. હોળી પહેલા જ દાહોદવાસીઓને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી જાહેરાત કરી દાહોદ પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત પૂર્ણ થયેલી કામગીરીને ટાંકી સાથે જોડવાની કામગીરીમાં અગાઉ બે વાર બ-બે ત્રણ-ત્રણ દિવસનું શટ ડાઉન લીધું હતું. અને જેતે વિસ્તારમાં નવીન પાઇપ લાઈનનું જોડાણ કાર્ય પૂર્ણ કરાયું હતું. અને ગત તા.11 તેમજ 12 માર્ચ દરમિયાન ત્રીજા અને અંતિમ શટ ડાઉન કરવાની જાહેરાત આપવામાં આવી હતી. તેં અંતર્ગત પડાવ વિસ્તારમાં યુદ્ધના ધોરણે પાટા ડુંગરીથી આવતી નવીન પાઇપ લાઈન સાથે જોડાણનું કાર્ય પૂર્ણ કરાયું હતું. અને પાટા ડુંગરીથી પાણીનો જથ્થો દાહોદ મુખ્ય વોટર વર્ક્સ સુધી લાવવાની શરૂઆત કરાઈ હતી. શટ ડાઉન બે દિવસનું હોવાનું જણાવેલ અને 13 મી માર્ચ રવિવારથી વારા પ્રમાણે જેતે વિસ્તારને પાણી પુરવઠો આપવાનો શરૂ પણ કરાયો હતો. પરંતુ આશ્ચર્ય વચ્ચે પાણી પુરવઠાનો 100 ટકા જથ્થો ટાંકી પર પહોંચવાના બદલે માત્ર 25 ટકા જેટલો પાણીનો જથ્થો પહોંચતો હોવાનું જણાઈ આવ્યું હતું. અને અધધ..75 ટકા જેટલો જથ્થો બેક જતો હોવાનું સામે આવ્યું હતું. ટેક્નિકલ ખામીના કારણે શહેરમાં સમયસર પાણી નો જથ્થો પૂરું ન પાડી શકવાના કારણે પ્રજાને આ ગરમીના દિવસોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સ્માર્ટસીટી ના તજજ્ઞો તેમજ ક નગરપાલિકાની ટીમ સંયુક્તરીતે આ ટેક્નિકલ ખામી શોધવા મેદાને પડ્યા હતા. તપાસ દરમિયાન જોડાણનું જંકશન ખોલતા તેમાંથી ઇલેક્ટ્રોનિક વજન કાંટો, શાકભાજીનો કન્ટેનર તેમજ 15 થી 20 જેટલાં કંથાન, અને બે ત્રણ પાથરણા ગાદલા જેવો કચરો બહાર નીકળ્યો હતો. આ તો માત્ર એક જ જંક્શનમાં આ કચરો નીકળતા નવીન પાઇપ લાઈનની કામગીરી કરનાર સ્માર્ટ સીટીની એજેન્સી સહીત સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક ધોરણે જિલ્લા સમાહર્તાની મધ્યસ્તા લઈને એકબીજા પર દોષારોપણ કરવાનાં બદલે તમામ જંક્શનો ને ચેક કરી આગામી ૨૪ કલાકમાં આ પાણીનો જથ્થો 100 ટકા ટાંકી સુધી પહોંચે તેની કામગીરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહિ છેલ્લા ચાર દિવસથી પાણીનો કાપ ભોગવી રહેલી દાહોદની પ્રજાને વધુ સમય માટે પાણી કાપ વેઠવો ન પડે અને 24 થી 36 કલાકમાં જ આ સમસ્યાનો નિરાકરણ આવે તેં માટે બોડેલી, સુરત, અમદાવાદ વિગેરે સ્થાનોથી ટેક્નિકલ તજજ્ઞોની ટીમ બોલાવી લેવામાં આવી છે.સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ કંપની કલેકટર શ્રી,પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર, અને શહેરના મીડિયા કર્મીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરાઈ હતી.યુદ્વના ધોરણે કામગીરી શરૂ કરાવવા છતાં પણ બોડેલી, સુરત, અમદાવાદની ટીમ દાહોદ પહોંચશે. ત્યારે કામગરીમાં વધુ ઝડપ આવશે તેં વાત નિશ્ચિત છે.પરંતુ આ કામગીરી ભલે ગમે તેટલી જલ્દી થશે.તો પણ દાહોદના શહેરીજનોને આગામી વધુ 24 થી 36 કલાકનો પાણીનો કાપ ભોગવવો પડશે તેં વાત નિશ્ચિત છે.દાહોદ વોટર સપ્લાયમાં સર્જાયેલી ઉપરોક્ત ખામી કોણા કારણે સર્જાઈ..? તેં આમ તો તપાસનો વિષય છે. કારણ ગમે તેં હોય હોળીનો તહેવાર સામે હોઈ આગામી 24 કલાકમાં આ સમસ્યાનો નિકાલ ન આવે તો તંત્ર દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરીને શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પડાય તેવી લાગણી તેમજ માંગણી વહેતી થવા પામી છે. ત્યારે આ સબંધે સત્તાધીશો દ્વારા ઘટતું કરાશે ખરું..??

Share This Article