રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે યોજાઈ બેઠક*
*દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે બેઝીક સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે*
દાહોદ તા. ૨૫
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન કલેકટરશ્રીએ સૌ અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે જે – જે જરૂરી બાબતો અગત્યની છે, એ પ્રત્યે વધુ ધ્યાન આપીને દાહોદ જિલ્લા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હોય એ ખુબ જ જરૂરી છે એમ જણાવ્યું હતું.
આ સાથે દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે, રતનમહાલ, ઉધાલ મહુડા, સાગટાળા, રામપુરા સહિત અન્ય તમામ પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસી લોકો માટે જરૂરી જીપ્સી કાર, બોટિંગ માટે બોટ, ઝીપ લાઈન, ટ્રી હાઉસ, લાઈફ જેકેટ, સોલાર લાઈટ, ટેન્ટ, રૂટ પ્લાનિંગ તેમજ શૌચાલય સહિત જે-તે પ્રવાસન સ્થળ માટે જરૂરી તમામ સુવિધાઓ માટેની તમામ વ્યવસ્થાઓ કરવા માટે કલેકટરશ્રી દ્વારા સુચના આપવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠક અન્વયે નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, ડીઆરડીએ નિયામકશ્રી, પ્રાંતશ્રી તમામ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ નાયબ વન સંરક્ષકશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષકશ્રી વડોદરા વાઈલ્ડ લાઈફ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને રાજ્ય સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
