રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન
દાહોદ તા. ૧૫
દાહોદ: પવિત્ર મહાશિવરાત્રી પર્વના ઉપક્રમ હેઠળ દાહોદ જિલ્લાના પ્રસિદ્ધ કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા તેમના મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શિવોત્સવ દરમ્યાન મંદિર પરિસરને ફૂલોથી અને આકર્ષક લાઇટિંગથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના જયઘોષથી આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુધાભિષેક કરી પૂજન-અર્ચન કર્યું હતું.
આ અવસરે ભજન-કીર્તન તેમજ ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાવભેર ભાગ લીધો હતો. સાથે જ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદ લીધો હતો.
આ શિવોત્સવ દ્વારા ધાર્મિક એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્તમ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
