ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતા ખેડૂતો માટે જરૂરી કાળજી રાખવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ની કચેરીનું માર્ગદર્શન

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતા ખેડૂતો માટે જરૂરી કાળજી રાખવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ની કચેરીનું માર્ગદર્શન

દાહોદ તા. ૧૭

દાહોદ જીલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ જંતુનાશક દવા, તેમજ રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ,જંતુનાશક દવા, તેમજ રાસાયણિક ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય. 

 બિયારણ તેમજ ખાતરની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4G અને 5G જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે. તેમ નાયબ ખેતી નિયામક (વિ.) કચેરીની યાદીમાં જણાવાયું છે.

૦૦૦

Share This Article