
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
દાહોદ સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફ્રન્સ યોજાઈ
ઉમેદવારી પત્રો તા.૧૨ થી તા.૧૯ એપ્રિલ સુધી ભરી શકાશે
તા.૭ મે, ૨૦૨૪ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે
દાહોદ તા. ૧૨
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૧૯-દાહોદ (અ. જ. જા.)સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફ્રન્સમાં આપવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફ્રન્સ દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનું જાહેરનામુ તથા ચૂંટણી નોટીસ બહાર પાડવાની તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ છે. ઉમેદવારી પત્રો તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ થી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ (જાહેર રજાના દિવસો સિવાય) સુધીમાં (સવારે ૧૧.૦૦ થી બપોરે ૩.૦૦ દરમિયાન) રજૂ કરી શકાશે. ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, દાહોદને કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, દાહોદને પ્રાંત કચેરી, ગડી ફોર્ટ, દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (બપોરના ૩.૦૦ કલાક સુધીમાં) છે, મતદાન તા.૭ મે, ૨૦૨૪ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી રહેશે.
આ પ્રેસ કોન્ફ્રન્સ નિમિતે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારીસુશ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામકશ્રી એસ. જે. બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા.