દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો: પંચાયતના સભ્યો જોડે અણછાજતુ વર્તન કરાતા હોવાના આક્ષેપો સાથે સ્તબદતા
જિલ્લા વિકાસ અધિકારી તેમજ પંચાયતના પદાધિકારીઓની કાર્યપ્રણાલી તેમજ મનસ્વી વહીવટને લઈ ધારાસભ્ય તેમજ પંચાયતના સભ્યોએ વિરોધ નોંધાવ્યો..
DRDA ના કરાર આધારિત કર્મચારીને કાઢી મુકવા એક સુરમાં અવાજ ઉઠતા DDO એ કાર્યવાહીના કર્યા આદેશ…
જિલ્લા વિકાસ અધિકારી સભ્યોને મુલાકાત ન આપી સતત પ્રવાસ ખેડતા હોવાથી પંચાયત તંત્ર કથળ્યું હોવાના સાગમટે સૂરો ઉઠ્યા..
દાહોદ તા. 4
દાહોદ જિલ્લા પંચાયતમાં આજરોજ યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં ૧.૭૩ કરોડના આયોજનના કામોને મંજૂરી આપવામાં આવી હતી. તો આ સામાન્ય સભામાં કુલ ૮ જેટલા એજન્ડાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી જેમાં ખાણ ખનીજની રેતી કંકરની સાત કરોડની ગ્રાન્ટ માંથી ૩.૫૦ કરોડના વિકાસના કામો માટે ફાળવવા બહાલી આપવામાં આવી હતી તો સ્ટેમ્પ ડ્યુટી કર ગ્રાન્ટમાં ૧.૨૫ કરોડની ગ્રાન્ટમાં દરેક પંચાયતના સભ્યોને ત્રણ ત્રણ લાખના પંચાયતના કામો કરવા માટે બહાલી આપવામાં હતી. તો બીજી તરફ સામાન્ય સભા શરૂ થતાની સાથે પંચાયતના સભ્યો તેમજ ધારાસભ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તેમજ વહીવટ પંચાયતના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓના મનસ્વી વહીવટને લઈ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓનો ઉઘડો લીધો હતો.ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા પંચાયતના સભ્યોને એજન્ડાની સાથે પ્રિસાઇડિંગની નકલ ન મોકલવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ પંચાયતના વહીવટ સામે સવાલો ઊભા કર્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લા પંચાયતનુ તંત્ર લોકશાહી ઢબે નહીં પરંતુ વહીવટી ઢબે ચાલે છે. સરકાર લાખો રૂપિયાનો ખર્ચો સ્ટેશનરી પાછળ ખર્ચે છે.તેમ છતાંય પ્રિસાઇડિંગની સાથે એજન્ડાની નકલ દરેક પંચાયતના સદસ્યોને કેમ મોકલવામાં આવતા નથી.? DDO કાયમ પ્રવાસમાં ફરતા રહી પંચાયતના સભ્યોને મુલાકાત આપવાનું ટાળતા હોય છે. જેના પગલે પંચાયતનું તંત્ર કથળી ગયું હોવાના આ સામાન્ય સભામાં આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. સ્વ ભંડોળમાં કામો કરવા ગ્રાન્ટ ફાળવણી બાબતે જો પંચાયત પાસે સ્વભંડોળ નથી તેવું કહેવામાં આવે છે તો તેઓના નિવાસ સ્થાન પર સ્વભંડોળ માંથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કોને પૂછીને કરવામાં આવ્યો.? પંચાયતના સભ્યોને સ્વ ભંડોળ માટે મનાઈ કરતા જિલ્લા પંચાયતના અધિકારી કેમ સ્વભંડોળમાંથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો? તે અંગે ખુલાસો માંગ્યો હતો . જોકે ભારે ગરમાગરમી વચ્ચે શરૂ થયેલી આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન 15 માં નાણાપંચના કામોનું પરિસ્થિતિ અંગે થયેલા સવાલના કામોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગલાલીયાવાડ જિલ્લા પંચાયતના સદસ્ય સુધીરભાઈ લાલપુરવાલાએ પણ પંચાયતના મનસ્વી વહીવટને લઈ જિલ્લા વિકાસ અધિકારીની કાર્ય પ્રણાલી તેમજ પદાધિકારીઓના મનસ્વી વહીવટની ટીકા કરી હતી.તેમને જણાવ્યું હતું કે 10% ની કામગીરીમાં જિલ્લા પંચાયત દ્વારા ક્યાં મંજૂરી આપવામાં આવી છે?તે અંગે ખુલાસો કરવામાં આવે તેમ જણાવ્યું હતું જેના જવાબમાં નાયબ ડીડીઓ દ્વારા જણાવ્યું હતું કે 2022/23 ના 356 જેટલા કામોમાંથી 326 જેટલા કામોની વહીવટી મંજૂરી આપી દેવાનું જણાવવામાં આવ્યું હતું.તે બાબતે જિલ્લા પંચાયતના સભ્ય સુધીરભાઈ લાલપુરવાળાએ અધિકારીઓનો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી અને તેઓએ કીધું હતું કે તમે જિલ્લા પંચાયતની સામાન્ય સભાને ગેરમાર્ગે દોરી રહ્યા છો.ચાર મહિનાથી ફાઈલો ડીડીઓના પાસે પેંડિંગ પડી છે.SO મનમાની કરે છે.કર્મચારીઓ કોર્પોરેટ કરતા નથી નીચેના અધિકારીઓ મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે.બીજી તાલુકા પંચાયતોમાં કરોડો રૂપિયાના કામો ફાળવી રહ્યા છે.પરંતુ અહીંયા માત્ર પાંચ લાખના કામો ફાળવી વિકાસ અધિકારી શું સાબિત કરવા માંગે છે.? જિલ્લા વિકાસ અધિકારી કરવા માટે શું કામ ના પાડે છે.? તેમજ તાલુકા પંચાયતમાં કામો ફાળવણી કરવા બાબતે ભેદભાવ થતા આક્ષેપો પણ આ સામાન્ય સભામાં ઊઠવા પામ્યા હતા.તો બીજી તરફ 2023 /24 ના કામો પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.પરંતુ 22 /23 ના કામો અધૂરા પડ્યા છે.તાલુકામાં 20% ના કામો થઈ જાય છે 10% ના કામો કેમ નથી થતા.? આ કામો 2022 ના આયોજનમાં લીધેલા છે.21/22 ના કામો બાકી છે.22/23 ના કામો બાકી છે. તેમ છતાં અધિકારીઓ સામાન્ય સભામાં ગેરમાર્ગે દોરી રહ્યા છે જે પદ્ધતિ તદન ખોટી છે.અને ICDS ના વાહનો કયા કારણોસર બંધ કરવામાં આવ્યા છે.?સિંચાઈમાં ૨૧/૨૨ માં 20 જેટલા કામોની ટી.એસ બાકી હોવાનું પણ સુધીરભાઈએ જણાવ્યું હતું. સાથે સાથે સામાન્ય સભામાં નરેગાના કામોને લઈને પણ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીના ચેરમેન અને ડિડીઓ ઉત્સવ ગોતમ સામે આક્ષેપો થયા હતા.જેમાં માટી મેટલના સ્મશાનના કામ સાત મહિનાથી પેન્ડિંગ છે.છેલ્લા ત્રણ મહિનાથી કામો ફાળવવામાં આવતા નથી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ મેળવે છે.તેમાં કામો કેમ નથી થતા સાથે-સાથે આ સામાન્ય સભામાં નરેગા ના સવાલો ઊઠવા પામ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી એજન્સીના નિયામક તેમજ પધાધિકારીઓ કેમ ગેરહાજર છે.? તે અંગે પણ સવાલો ઉઠ્યા હતા.તો સાથે સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં આઉટસોર્સિંગમાં કાર્યરત કર્મચારી આલમ વિરુદ્ધ એક સૂરે વિરોધ ઉઠતા આ કર્મચારીને હાકી કાઢવા ઠરાવ કરવા માટે એક સૂરે અવાજ ઉઠવા પામ્યો હતો.આજની આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારીની કાર્યપ્રણાલી પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓના મનસ્વી વહીવટને લઈને સામાન્ય સભામાં ભારે વિરોધ ઉઠવા પામ્યો હતો. જે અંગે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરી કાર્યપ્રણાલી અને મનસ્વી વહીવટને લઈને મીડિયા કર્મીઓએ સવાલો પૂછતા જિલ્લા વિકાસ અધિકારીએ અંગે કશું પણ બોલવાનું ઇન્કાર કરતા સામાન્ય સભામાં તેઓના ઉપર લાગેલા આક્ષેપોમાં તથ્ય કેટલું.? ડીડીઓ આક્ષેપોના સવાલોથી બચતા નજરે પડ્યા હતા.?સામાન્ય સભામાં તેમની કાર્ય પ્રણાલીને લઈને ઉઠેલા પ્રશ્નો અંગે તેઓએ મોન સેવી લેતા પંચાયતમાં સભ્યોના આક્ષેપો સાચા હોવાનું હાલના તબક્કે લાગી રહ્યું છે.જોકે જનપ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ જનતાના સેવક છે.પ્રજાલક્ષી કામો અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ એકબીજાના સંકલનમાં રહી વિકાસના કામો કરે તો ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લામાં સરકારની યોજનાઓનો લાભ છે વાડા ના માનવી સુધી પહોંચે તેમાં કોઈ બે મત નથી.
