દાહોદમાં એક તરફ લોકોને પાણીના વલખાં વચ્ચે રસ્તાના ખોદકામથી પાણીની પાઈપલાઈન લીકેજ થતાં પાણીનો ભર ઉનાળે વેડફાટ

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં લોકોને પાણીના વલખાં વચ્ચે રસ્તાના ખોદકામથી પાણીની પાઈપલાઈન લીકેજ થતાં પાણીનો ભર ઉનાળે વેડફાટ

દાહોદ તા.18

દાહોદ શહેરના સરસ્વતી સર્કલથી તાલુકા પંચાયત સુધીનો રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ આ રસ્તા પર પાણીની પાઈપ લાઈન ખોદકામ દરમિયાન લીકેજ થતાં હજ્જારો લીટર પાણીનો આ વિસ્તારમાં વેડફાટ થતો જાવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ રસ્તાની કામગીરી સત્વરે અને યુધ્ધના ધોરણે પુરૂ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.

 દાહોદ સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ શહેરના સરસ્વતી સર્કલથી સામેના રસ્તાથી તાલુકા પંચાયત જવાના માર્ગ સુધી રસ્તાની કામગીરી શરુ કરવામા આવી છે.તેને માટે રસ્તાની એક બાજુએ ખોદકામ કરી નાંખવામાં આવ્યુ છે. આ કામગીરી એટલી મંથરગતિએ ચાલી રહી છે કે, બીજી બાજુથી પસાર થતાં લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેથી ત્રણ ફુટ ઉંડો રસ્તો ખોદી નાંખવામાં આવ્યો હોવાથી બીજી બાજુથી પસાર થવામાં વાહન ચાલકોને અકસ્માત સર્જાવાની ભીતી પણ સર્જાઈ રહી છે.આ પહેલાં પણ ખોદકામથી લીકેજ થઈ ચુક્યા છે ત્યારે બીજી તરફ આ વિસ્તારમાં ખોદકામ દરમ્યાન પાણીની પાઈપ લાઈને આજરોજ લીકેજ થતાં હજ્જારો લીટર પાણીનો વેડફોટ થતો પણ જેવા મળ્યો હતો. એક તરફ શહેરીજનો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યાં છે ત્યારે બીજી તરફ આવો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના માટે જવાબદાર કોણ ? શહેરના ગોદીરોડ સહિત અનેક વિસ્તારોમાં અઠવાડીયા સુધી પાણી આપવામાં આવતુ નથી ત્યારે આ વિસ્તારમાં રસ્તાના ખોદકામ દરમ્યાન વારંવાર પાણીની પાઈપ લાઈન લીકેજ થતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.આ પહેલા પણ છોટાલાલ શાળા સામે લીકેજ થયા હતા. કોન્ટ્રાક્ટરો દ્વારા આ મામલે કોઈ ધ્યાન ન અપાતું હોવાનુ લાગી રહ્યુ છે. સરસ્વતી સર્કલથી તાલુકા પંચાયતનો માર્ગ જલ્દીથી જલ્દી બનાવવામાં આવે અને પાણીની પાઈપ લાઈન ન તૂટે તે જન હિતમા છે.

 

 

Share This Article