ધાનપુર ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

Editor Dahod Live
3 Min Read

Rajesh Vasave Dahod

બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓને બિરદાવી પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ

૦૦૦

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવા માટે પ્રતિબદ્ધ – રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ

૦૦૦

ધાનપુર ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. બાળ વૈજ્ઞાનિકોએ મોટી સખ્યાંમાં આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પંચાયત કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડે આ પ્રદર્શનનો આજે પ્રારંભ કરાવ્યો હતો અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

          રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, શિક્ષણ એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવા માટે પ્રયાસરત છે ત્યારે જિલ્લામાં યોજાઈ રહેલા 

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાનું નિમિત્ત બને છે. બાળકોમાં રહેલી પ્રતિભા બાળપણથી જ જાણ થઈ જાય તો એ દિશામાં તેઓ ખૂબ આગળ વધી શકે છે. દેશમાં મેઘાવી પ્રતિભા પ્રાપ્ત કરવામાં બાળપણથી જ આ પ્રકારના પ્રતિભા ખીલવતા કાર્યક્રમો મોટો ભાગ ભજવે છે. 

     તેમણે આ વેળા બાળકો દ્રારા વિવિધ કૃતિઓને રસપૂર્વક નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળા ઉપસ્થિત મહાનુભાવો, અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

     જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ પ્રેરિત તથા બી આર સી ભવન ધાનપુર આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન તથા પર્યાવરણ પ્રદર્શન અહીંના વેડ ગામ ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનની શરૂઆત શાળા કક્ષાએ કરવામાં આવી હતી. જેમાં શાળા કક્ષાએ પ્રથમ મોડેલ બનાવવામાં આવ્યા જેમાંથી સી.આર.સી કક્ષા ૨૮૦ થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમાંથી આજે ૭૫ જેટલી કૃતિઓ તાલુકો કક્ષાએ રજૂ કરાય હતી. જેની થીમ ટેકનોલોજી અને રમકડા છે. આ પ્રદર્શન કુલ પાંચ વિભાગમાં યોજાયુ છે. માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ, ઇકો ફ્રેન્ડલી સામગ્રી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પરિવહન અને નાવીન્ય વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ તેમજ ગણિત સહિતના પાંચ વિભાગોને કેન્દ્રમાં રાખીને બાળ વૈજ્ઞાનિકોએ કૃતિઓ તૈયાર કરી છે.

 

આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટકાઉ વિકાસની ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ટકાઉ વિકાસ એવા વિકાસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ભવિષ્યની પેઢીઓને પોતાની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના વર્તમાન જરૂરિયાત પૂર્ણ કરે છે.

        આ વેળાએ ધાનપુર તાલુકા પ્રમુખ સુશ્રી કાંતાબેન બામણિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ બારીઆ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ, ડાયટ પ્રાચાર્ય શ્રી આર.જે. મુનિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી રસિકભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બીઆરસી કો. ધાનપુર સહિતના અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Share This Article