લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે આઠ જેટલા ઈસમોએ બે વ્યક્તિઓના માલિકીની જમીનોમાં કબ્જો કરી જમીન પચાવી પાડી..

Editor Dahod Live
2 Min Read

લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે આઠ જેટલા ઈસમોએ બે વ્યક્તિઓના માલિકીની જમીનોમાં કબ્જો કરી જમીન પચાવી પાડી..

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૮ જેટલા ઈસમોએ ગામમાં રહેતાં બે વ્યક્તિઓની માલિકીની અલગ અલગ જમીનોમાં પર ગેરકાયદે કબજાે જમાવી અને બંન્ને જમીનો પચાવી પાડતાં આ સંબંધે લીમખેડા પોલીસ મથકે બંન્ને વ્યક્તિઓ દ્વારા સાતેય ઈસમો વિરૂધ્ધ અલગ અલગ બે ફરિયાદો નોંધાંવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજકીય સાંઢગાઢ ધરાવતાં અને અધિકારીઓની મીલી ભગતથી કેટલાંક માથાભારે ઈસમો દ્વારા લોકોની જમીનો પર કબજાે જમાવી જમીનો પચાવી પાડી હોવાની ફરિયાદો પણ લોકોમાં ઉઠવા પામી છે ત્યારે આવોજ એક કિસ્સો લીમખેડામાં સામે આવ્યો છે જેમાં લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે કોળી ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ મેરીયાભાઈ પરમાર તથા ચતુરભાઈ ભીખાભાઈ પરમારે પોતાના ગામમાં રહેતાં પ્રતાપભાઈ માનસીંગભાઈ નીનામા, સરતનભાઈ માનસીંગભાઈ નીનામા, શુક્રમભાઈ પ્રતાપભાઈ નીનામા, સુરસીંગભાઈ હીરાભાઈ નીનામા, લક્ષ્મણભાઈ પ્રતાપભાઈ નીનામા, નરવતભાઈ સુરસીંગભાઈ નીનામા, રમેશભાઈ નરસીંગભાઈ નીનામા અને ચતુરભાઈ રૂપાભાઈ નીનામા વિરૂધ્ધ નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પ્રતાપભાઈની માલીકીના ખાતા નંબર – ૨૧૧માં સમાવિષ્ટ રે.સ.નં. ૧૦૧,૧૦૫ (જુના રે.સ.નં. ૨૪/૧૦,૨૪,/૪) ક્ષેત્રફળ ૧ – ૫ – ૪૩ હે.આર. ચો.મી. વાળી જમીનમાં અને ચતુરભાઈની માલિકીના ખાતા નંબર – ૧૪૪માં સમાવિષ્ટ રે.સ.નં.૯૬ (જુના રે.સ.નં.૨૪/૫) તથા ખાતા નંબર ૨૧૨માં સમાવિષ્ટ રે.સ.નં. ૧૦૩,૧૦૪ (જુના રે.સ.નં. ૨૪/૩,૨૪/૧) વાળી જમીનમાં ગેર કાયદેસર ખેડાણ કરી, પ્રવેશ કરી ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓની જમીનો પચાવી પાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

આ સંબંધે ઉપરોક્ત ૮ ઈસમો વિરૂધ્ધ પ્રતાપભાઈ મેરીયાભાઈ પરમાર અને ચતુરભાઈ ભીખાભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Share This Article