રાજેશ વસાવે :- દાહોદ
ધાનપુર તાલુકાના તરમકાજ ગામે પાણી ભરેલા કુવામાં ખાબક્યો, વનવિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું..
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે પાણી ભરેલા કુવામાં દિપડો ખાબકી પડતાં વન વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ કુવામાંથી દિપડાનું રેસ્ક્યુ કરી દિપડાને હેમખેમ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ધાનપુરના તરમકાજ ગામે ગતરોજ ગામમાં રહેતાં હસમુખભાઈ રામસિંગભાઈના પાણી ભરેલા કુવામાં વન્યપ્રાણી દિપડો ખાબકી ગયો હતો. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકટોળા કુવા તરફ દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વન વિભાગની ટીમે કુવાને ચારેય તરફથી કોર્ડન કરી લીધો હતો. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ દિપડાનું કુવામાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો અને દિપડાને હેમખેમ પુનઃ જંગલ વિસ્તાર તરફ છોડી મુકવામાં આવ્યો હતો. દિપડો ગામમાં આવ્યો અને કુવામાં ખાબકી પડ્યો હોવાની ખબરો સાથે ગ્રામજનોમાં એક પ્રકારનો ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો હતો.
