નેશનલ હાઈવે પર સર્જાઇ કરુણંતીકા, પરિવાર બન્યો કાળનો કોળિયો..
ઝાલોદના સાપોઈ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર દંપતી તેમજ બાળકનું મોત.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સ્વજનોમાં આક્રદ, પરિવાર વિખેરાયો..
દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સાપોઈ ગામે એક અજાણ્યા વાહનના ચાલકે મોટર સાયકલ પર સવાર એક દંપતી તેમજ તેમના એક માસુમ પુત્રને અડફેટમાં લેતા ત્રણેયના શરીરે ગંભીર ઇજાઓને પગલે મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માત ને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝાલોદના ડાડીયા ગામે રહેતા તેરસિંગભાઈ સેલોત પોતાના કબજાની મોટરસાયકલ પર પોતાની પત્ની શર્મિલાબેન સેલોત અને માસુમ પુત્ર રાહુલને લઈ ઝાલોદના લીલવા દેવા મુકામે ભજન ના કાર્યક્રમમાં ગયા હતા. ભજનનો કાર્યક્રમ મોડી રાત્રે સુધી ચાલતા તેઓ કચરો જ રાત્રિના ત્રણેક વાગ્યાના આસપાસ પોતાના ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હનકારી લાવી તેરસિંગભાઈ ની મોટરસાયકલને જોશભેર ટક્કર મારતા અંદાજે 200 મીટર સુધી મોટરસાયકલને ઘસડીને અજાણ્યો વાહનનો ચાલક લઈ ગયો હતો. મોડી રાત્રિની આ ગમખ્વાર માર્ગ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પિતા તેરસીંગભાઇ અને માસુમ પુત્ર રાહુલનું ઘટના સ્થળ પર જ શરીરે ગંભીર ઇજાઓને પગલે કમકમાટી ભયું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની શર્મિલાબેનને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા જ્યાં શર્મિલાબેન નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે બીજી તરફ પરિવારજનો પોલીસ મથક કે દોડી જઈ આરોપી અજાણ્યા વાહનના ચાલકને ઝડપી પાડવા માટે ની પોલીસ સમક્ષ ઉગ્ર માંગ કરી હતી.
આ સંબંધે સ્થાનિક પોલીસે ગુનો નોંધવાની કામગીરી સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો તે વિસ્તારના આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ સાથે ધરી છે અને આરોપી અજાણ્યા વાહનના ચાલકના ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે.