રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ખાતે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ*
*આસપાસના ૯ ગામોની ૧૩ હજારથી વધુ વસ્તીને મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ*
દાહોદ તા. ૨૧ 
દાહોદ જિલ્લાના સિંગવડના પહાડ વિસ્તારમાં રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે નિર્મિત નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કરણસિંહ ડામોર તથા લીમખેડાના ધારાસભ્યશ્રી શૈલેષ ભાભોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન આરોગ્ય કેન્દ્રના પ્રારંભથી પહાડ, ભીલપાનિયા, વણજારીયા, હુમડપુર, કેશરપુર, મછેલાઈ, કુમપુર, ઝરોલા અને ઢબૂડી સહિતના કુલ ૯ ગામોની અંદાજિત ૧૩ હજારથી વધુની વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે.

લોકાર્પણ સમારંભે કેબિનેટ મંત્રીશ્રી ડિંડોરે જણાવ્યું હતું કે, “છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પાયાની આરોગ્ય સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. દાહોદ જિલ્લાનું આરોગ્ય પ્રણાલી મજબૂત બનવી, એ સરકારનો દ્રઢ સંકલ્પ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “દાહોદ જિલ્લામાં ગરીબથી ગરીબ નાગરિક માટે નિશુલ્ક નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે.”

સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે આ અવસરે જણાવ્યું હતું કે, “જિલ્લાના તમામ વિસ્તારમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ થઇ રહ્યું છે અને સરકારનો હેતુ છે કે કોઈપણ નાગરિક આરોગ્યસેવા વગર વંચિત ન રહે.” આ પ્રસંગે સ્નેહલ ધરીયા ભાજપ પ્રમુખ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીયા, RCHO ડૉ અશોક ડાભી, QAMO ડૉ. રાકેશ વોહનીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડૉ જીતેન્દ્ર મુનિયા, આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. વંશ પંચાલ, તથા અર્પિત લબાના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ઈલા રાઠોડ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦