
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના સાંગા ફળિયામાં સરકારી જમીનમાં દબાણ કૌભાંડ મામલે તંત્ર દ્વારા છેલ્લી માપણી કરાઈ..
સાંગા ફળિયામાં 63 મિલકત ધારકોની મિલ્કતોની ફેર માપણી કરી ડીમાર્ગેશન નક્કી કરાયું…
મામલતદાર હુકમથી સર્કલ , તલાટી તેમજ DILR એ સ્થળ પર હાજર રહી પુનઃ માપણી કરતા કચવાટ ફેલાયો..
ફેર માપણીમાં અગાઉ કરેલ ડીમાર્ગેશન મુજબ નીકળ્યું, આગામી સમયમાં દબાણો દૂર કરવાના એંધાણ…
અગાઉ દબાણ દૂર કરવા કોર્ટની નોટિસ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો:હાઈકોર્ટે મિલકત ધારકોને સાંભળી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો..
દાહોદ તા. 8
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ અગાઉ તંત્ર દ્વારા જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે રીસર્વે ની કામગીરી હાથ ધરી હતી.દરમિયાન દાહોદ કસ્બાના રળિયાતી સાંગામાં સરકારી જમીનમાં દબાણ કરેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા જે તે સમયે દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી જે બાદ મામલો હાઇકોર્ટ પહોંચતા હાઇકોર્ટે દખલગીરી કરી દબાણકર્તાઓને સાંભળી કાર્યવાહી કરવા તંત્રને નિર્દેશ કર્યા હતા. ત્યારબાદ રળીયાતી સંગાના 63 જેટલા મિલકત ધારકોને મામલતદારની કોર્ટમાં સાંભળ્યા બાદ આજરોજ મામલતદારના હુકમથી જે તે મિલકત ધારકોને નોટિસ આપ્યા બાદ ડીમાર્ગેશન માટે આજે મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ DIRL દ્વારા છેલ્લી માપણી કરવામાં આવી હતી.જેમાં અગાઉ તંત્ર દ્વારા કરવામાં આવેલું ડીમાર્ગેશન માપ પ્રમાણે નીકળતા હવે માપણી પૂર્ણ કરવામાં આવી છે. અને આગળના સમયમાં તંત્ર દ્વારા ડીમાર્ગેશન મુજબ વધારાનું દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જોવાઈ રહ્યું છે ત્યારે આજે છેલ્લી માપણી દરમિયાન મિલકત ધારકોના મનમાં કચવાટ જોવા મળ્યો હતો.
દાહોદમાં નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ તપાસ દરમિયાન કસબાના સાંગા ફળિયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 1003 સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું ફલિત થવા પામ્યું છે.સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા પાકી દુકાનો ગોડાઉન વિગેરે બાંધકામને જેતે સમયે સ્વખર્ચે દૂર કરવા જમીન મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ દબાણદારોને સ્વખર્ચે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી.તંત્ર દ્વારા અપાયેલી નોટિસ બાદ સાંગા ફળિયાના મિલકત ધારકોમાં આક્રોશ સાથે ગમગીની ફેલાઈ જવા પામી હતી.એટલું જ નહીં વર્ષોની મૂડી હોમાઈ જશે ની બીકે ઉપરોક્ત સર્વે નંબરમાં આવેલ 58 થી વધુ મિલકત ધારકો દ્વારા પોતે જ માલિક છે. તેમની પાસે સરકારી દસ્તાવેજો તેમજ અન્ય સરકારી ડોક્યુમેન્ટ થયા છે તેવી રજૂઆત સાથે કલેકટર એસ.ડી.એમ વિગેરે સમક્ષ રાવ કરી હતી અને આવેદનપત્રો પણ અપાયા હતા.પરંતુ નકલી NA પ્રકરણમાં તપાસ દરમિયાન સરકારી જમીન ઉપર દબાણ હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું દાહોદ ગામની સર્વે નંબર 1003 ની સદર જમીન ઇજનેર ખાતાને મોરમ માટેની/સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું બહાર આવ્યું હતું.અત્રેના સાંગા ફળિયાના ગોડાઉન ધારકો અને દુકાન ધારકોએ નામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેમાં ગુજરાત હાઇકોર્ટે દાહોદના 61 કરતાં પણ વધુ કબજેદારોને દબાણકર્તાઓને સાંભળ્યા વગર નિર્ણય ન લેવાનું ડાયરેક્શન આપ્યું હતું.અને આમ જે તે સમયે ગોડાઉન ધારકો અને દુકાનદારોને જીવનદાન પ્રાપ્ત થયું હતું.અને સ્થળ પરથી સંબંધિત તંત્રને પાછું ફરવું પડ્યું હતું.ત્યારબાદ હાઇકોર્ટના ડાયરેક્શન મુજબ હાઇકોર્ટ ની રજૂઆત મુજબ દબાણ કર્તાઓને ઓક્ટોબર માસમાં 24, 25.અને 30 તારીખ આપવામાં આવી હતી ત્યારબાદ નવેમ્બર માસમાં 11 અને 18 તારીખની મુદતો આપી તમામને હાજર રાખી મૌખિક તથા લેખિત જવાબો લીધા હતા.એટલું જ નહીં હાજર રહેલા લોકો પછી વધુ સુનાવણીની જરૂરિયાત ન હોય આ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો.આ કેસમાં સરકાર તરફે મામલતદાર દ્વારા સામેવાળા એટલે કે 63 જેટલા દબાણકર્તાઓને સાંભળ્યા બાદ મામલતદારના હુકમથી પાછળથી કોઈ લેટિગેશન ઊભું ન થાય તે માટે ડીમાર્ગેશન કરવા માટે છેલ્લી માપણીનો હુકમ કર્યો હતો જેના સંદર્ભમાં આજરોજ મામલતદાર કચેરીના તલાટી સર્કલ તેમજ DIRL દ્વારા સ્થળ પર જઈ છેલ્લી માપણી કરવામાં આવી હતી. જેમાં અગાઉ કરેલ ડીમાર્ગેશન મુજબ માપ નીકળ્યું હતું હવે તંત્ર દ્વારા કરેલ ડીમાર્ગેશન મુજબ આગામી સમયમાં દબાણો દૂર કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવશે તેવું જોવાઈ રહ્યું છે.