કોરોનાકાળમાં કામમાં દાંડાઇ કરતા આરોગ્ય વિભાગના બે કારકુનોને ઘરભેગા કર્યા
અન્ય બે આયુષ તબીબોને પણ છૂટા કરી આરોગ્ય વિભાગના હવાલે કરાયા
દાહોદ, તા. ૫ :
કોરોનાકાળમાં જેમની સેવાની સૌથી વધુ આવશ્યકતાઓ છે એવા આરોગ્ય વિભાગનાં કામચોર અધિકારીઓ અને કર્મચારીઓ સામે જિલ્લા વહીવટી તંત્રએ સખત રૂખ અપનાવ્યો છે. આજે બે જૂનીયર કલાર્કને ઘરભેગા કરવાની સાથે બે આયુષ તબીબોને છૂટા કરી આરોગ્ય વિભાગના હવાલે મૂકી દેવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સથી કામ કરતાં જુનીયર કલાર્ક શ્રી કૌશીકભાઇ પુવાર તથા સુશ્રી હીનાબેન ડાભી કોઇ પણ જાતની મંજૂરી વિના ગેરહાજર રહેતા હતા. તેથી આ બંનેને આજે ફરજમુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બે ગુલ્લીબાજ આયુષ તબીબો સામે પણ પગલા લેવામાં આવ્યા છે. જેમાં જગોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડો. નિશીથ પ્રજાપતી તથા માઘવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. નરેશ લબાનાને ઝાયડસ મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પીટલ ખાતે ફરજ પર મુકવામાં આવ્યા હતા. પરંતુ આ બંને કરતબબાજ તબીબો ઝાયડસ ખાતે મસ્ટરમાં સહી કરીને ગુલ્લી મારી જતા હતા. આ બાબત તંત્રના ધ્યાને આવતા બંનેને છૂટા કરી આરોગ્ય વિભાગના હવાલે મુકી દેવામાં આવ્યા છે.