
રાજેશ વસાવે :- દાહોદ
*૨૧ જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કલેકટર શ્રી યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*
*આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં દાહોદવાસીઓને સહભાગી બનવા અપીલ કરતા જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે*
*દાહોદ જિલ્લામાં ઐતિહાસિક ધરોહર છાબ તળાવ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની કરાશે ઉજવણી*
દાહોદ તા. ૧૯
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવ જાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા તથા માનવ જાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૫ થી પ્રતિ વર્ષ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાય છે.
૨૧ જૂન આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કલેકટર શ્રી યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે દરમ્યાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધું દાહોદવાસીઓને સહભાગી બનવા જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ અપીલ કરી હતી.
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧ મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથેના આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.
કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, યોગ એ તમામ માટે છે. એમાં કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાય નડતો નથી. દાહોદ જિલ્લાના તમામ નાગરિકો આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ યોગને પોતાના જીવનમાં કાયમ માટે વણી લેશે અને યોગને દરરોજ જીવનના ભાગરૂપે સ્વીકારે જેનાથી અનેકો શારીરિક સમસ્યાઓ નિવારી શકાશે. આ ઉજવણી નિમિતે તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, ગામલોકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટાભાગના દાહોદવાસીઓ જોડાય.
દાહોદમા જિલ્લા કક્ષાનો ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ કાર્યક્રમ જિલ્લા મથકે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, દાહોદ ખાતે યોજાશે. વિશ્વ યોગ દિવસની દાહોદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તેમજ જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજ કેમ્પસ તેમજ યોગ સાથે જોડાયેલ સંસ્થાઓ તેમજ સ્વૈચ્છિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા તા.૨૧ મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.
જે દરમ્યાન પતંજલિ યોગ સંસ્થાન, બ્રહ્માકુમારીઝ સહિત વિવિધ NGO પણ ભાગ લેશે. તાલુકા અને નગરપાલિકા દ્વારા પણ સંયુક્ત રીતે યોગ દિવસની ઉજવણી કરાવવામાં આવશે. એ સાથે આઇકોનિક યોગ સ્થળો નક્કી થયેલ છે. જે પૈકી દાહોદ જિલ્લામાં કંજેટા, સાગટાળા અને ઉમરિયા ડેમ, બાવકા શિવ મંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ યોજાશે.
આ નિમિતે પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા યોગ બોર્ડના જિલ્લા યોગ કો-ઓરડીનેટર શ્રી તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
***