
વસાવે રાજેશ :દાહોદ
ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો બાબતે આ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે
દાહોદ, તા. ૯ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન બાબતે ભારતના ચૂંટણી પંચના આદેશો પ્રમાણે થાય એ માટે જાહેરનામા થકી આદેશ કર્યા છે.
તદ્દનુસાર, કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશનનું નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી. કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાએ ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી. સિવાય કે, જેમાં તેની સહીવાળા અને તેને અંગંત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇ પણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.
છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ –ક અને જોડાણ –ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી તથા સબંધિત ચૂંટણી અધીકારીશ્રીને રજુ કરવાની રહેશે. આ જાહેરનામું આગામી તા. ૧૦-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
૦૦૦