ફતેપુરા તાલુકાના બલૈયામા કોરોના સંક્રમણને નાથવા ગ્રામ પંચાયત દ્વારા સ્વેચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો….

Editor Dahod Live
2 Min Read

 બાબુ સોલંકી :- સુખસર 

  • ફતેપુરા તાલુકાના બલૈયામા કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત દ્વારા ફરમાન.
  • બલૈયામાં છ દિવસ માટે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધીજ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે.
  • નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦/-રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો

     ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨

      ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે તાલુકા જિલ્લા વહીવટીતંત્ર પણ આ રોગચાળામાં વધારો થાય નહીં તે હેતુથી ખડે પગે કામગીરી કરી રહ્યું છે. ત્યારે પ્રજાએ પણ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોનું ચુસ્ત પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે ફતેપુરા તાલુકાના બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી હોવાનું જાણવા મળે છે.

       જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બલૈયા ગ્રામ પંચાયત ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલ થી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો.જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

   અહીંયા જણાવવું જરૂરી છે કે, બલૈયા ગામમાં આગાઉ કોરોનાથી મોતને ભેટવાના બનાવ પણ બની ચૂકેલા છે.તેમજ હાલમાં પણ ગામમાં કેટલાક લોકો કોરોના ગ્રસ્ત હોવાનું જાણવા મળે છે.ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા બલૈયા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share This Article